VIDEO: 'અમારે બહાર નીકળી જવું હતું, પણ જવા ન દીધા', ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર RCB ફેને શું કહ્યું?
RCB Victory Parade Stampede: બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા અફરા-તફરી મચી જવા પામી હતી. હજારો ફેન્સ એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ, જેના કારણે 11 લોકોના મોત થયા અને કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
સ્ટેડિયમની અંદર અને બહાર જવાની પણ મનાઈ
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા આરસીબીની એક ફેન્સે કહ્યું કે, 'અંદર સીટો ફુલ હતી અને એટલા માટે તેમને અંદર નહોતા જવા દેવામાં આવી રહ્યા. પછી અમે પરત જવા માગતા હતા, પરંતુ અમને પરત જવાની પણ નહોતા આવવામાં દઈ રહ્યા. ગેટ પર લોકોની ભારે ભીડ છે, જો તેઓ ગેટ ખોલશે તો લોકો અંદર આવવાનું શરૂ કરી દેશે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થઈ જશે.'
આ પણ વાંચો: ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી
3 જૂન 2025ના રોજ આઈપીએલ 2025નો ફાઈનલ મુકાબલો અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગુલુરૂ વચ્ચે રમાયો. બંને ટીમો છેલ્લા 17 વર્ષથી ટ્રોફીની રાહ જોઈ રહી હતી. જો કે, આરસીબી તેમાં ચેમ્પિયન બની. ત્યારબાદ અમદાવાદથી બેંગલુરૂ પહોંચેલી આરસીબીની ટીમની વિક્ટરી પરેડ યોજાવાની હતી, પરંતુ તે પહેલા મોટી દુર્ઘટના બની ગઈ.