VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી
RCB Victory Parade Stampede : IPL-2025ની ફાઈનલ મેચમાં જીત મેળવ્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ બેંગલુરુ પહોંચી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા ભારે અફરા-તફરી મચી હતી. હજારો ચાહકો એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચવાની ઘટના બની છે, જેમાં 11 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે.
મારી પાસે વધુ સમય નથી : કોહલી
ઘટના વખતે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુની ટીમ હાજર હતી. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) મંચ પર બોલવા પહોંચ્યો, ત્યારે સ્ટેડિમમાં હાજર હજારો લોકોએ આરસીબી-આરસીબીના નારા શરૂ કરી દીધા હતા. તેઓ કોહલીને પણ ચીયર કરવા લાગ્યા હતા. હજારો ચાહકોનો ઘોંઘાટ હોવાના કારણે કોહલીને બોલી શકતો ન હતો. છેવટે કોહલીએ કહ્યું કે, મારી પાસે વધુ સમય નથી, અમારે કાર્યક્રમને ઝડપથી પૂર્ણ કરવાનો છે. તેણે ચાહકોનો આભાર માની કહ્યું કે, તમારા બધાની પ્રાર્થનાના કારણે અમે આ ટ્રોફી જીત્યા છીએ. અમે લાંબા અંતરાલ બાદ ટ્રોફી જીત્યા છીએ.
અમને દેશભરના કરોડો લોકોએ સપોર્ટ કર્યો : પાટીદાર
બીજીતરફ RCBના સુકાની રજત પાટીદારે કહ્યું કે, અમને દેશભરના કરોડો લોકોએ સપોર્ટ કર્યો. અમે તમામ લોકોનો આભાર માનીએ છીએ. ત્યારબાદ ટીમે ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવ્યું હતું, પરંતુ નાસભાગના કારણે કાર્યક્રમ 10 મિનિટમાં પૂરો કરી દેવાયો હતો.
10 મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે (Karnataka Dy CM D. K. Shivakumar) કહ્યું કે, ‘મેં પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓ સાથે વાત કરી છે. હું પછી હોસ્પિટલ જઈશ. હું તે ડૉક્ટરોને પરેશાન કરવા માંગતો નથી, જેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ઘટનામાં કેટલાક લોકોના મોત થયા, તેની સંખ્યા હજુ કહી શકાય તેમ નથી. અમે લોકોને શાંત રહેવાની અપીલ કરીએ છીએ. અમે કાર્યક્રમનો ટૂંકાવી દીધો છે. કાર્યક્રમ 10 મિનિટમાં જ પૂર્ણ કરી દેવાયો છે. અમે સ્થિતિને સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’