'ભારત લોકશાહી દેશ છે, સરમુખત્યારશાહી નહીં...', CJP આંદોલન ખતમ થતાં અણ્ણા હઝારેની પ્રતિક્રિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anna Hazare Statement on Dharmendra Pradhan | કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર સાથેની સફળ વાતચીત બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પોતાનું આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ ઘટનાક્રમ પર દેશના જાણીતા 89 વર્ષીય સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ પ્રતિક્રિયા આપતાં CJP ના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશમાં લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી. તેથી પ્રજાની સમસ્યાઓ અને ફરિયાદોનો ઉકેલ હંમેશા શાંતિપૂર્ણ આંદોલનો અને પરસ્પર સંવાદ દ્વારા જ લાવવો જોઈએ. અણ્ણા હઝારેએ કહ્યું કે કોણ જીત્યું કોણ હાર્યું એ મહત્ત્વનું નથી પણ સૌથી જરૂરી એ છે કે સમાજની ભલાઈ માટે જે જરૂરી હોય તે કરતા રહેવું જોઈએ.
અહિંસક સત્યાગ્રહનો અનુભવ: 22 વાર ઉપવાસ અને 10 કાયદા બદલાવ્યા
પોતાના આંદોલનાત્મક અનુભવો શેર કરતાં અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે, તેમણે પોતાના જીવનમાં અહિંસક માર્ગે ચાલતાં 22 વખત ભૂખ હડતાળ અને ઉપવાસ કર્યા હતા. આ શાંતિપૂર્ણ સત્યાગ્રહના કારણે જ તેઓ દેશમાં 10 જેટલા મોટા કાયદાઓ ઘડવામાં અને બદલાવવામાં સફળ રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે હિંસા અને તણાવથી કોઈ સમસ્યા ઉકલતી નથી પરંતુ તેનાથી માત્ર સમાધાન લાવવામાં વિલંબ થાય છે, તેથી કોઈ પણ વ્યક્તિએ હિંસાનો માર્ગ ન અપનાવવો જોઈએ.
જનહિત અને સંવાદ પર સરકારને પણ આપી સલાહ
અણ્ણા હઝારેએ સરકારને પણ આડે હાથ લેતાં જણાવ્યું હતું કે જનતા શું કહી રહી છે અને તેમની શું તકલીફો છે તે જોવું અને સાંભળવું એ સરકારની પ્રાથમિક ફરજ છે. લોકકલ્યાણ માટે સરકારે આગળ આવવું પડે તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈપણ જટિલ મુદ્દો હોય, અંતે તો તેનો ઉકેલ બેઠક અને વાટાઘાટોથી જ આવે છે, તેથી હંમેશા લોકશાહીના માર્ગ પર જ ચાલવું જોઈએ.
CJP અને સરકાર વચ્ચે સમજૂતી, દિલ્હીમાં જનજીવન પૂર્વવત
ઉલ્લેખનીય છે કે, શનિવારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે CJP અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ CJP ના પ્રવક્તા સૌરવ દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી. CJP એ આશા વ્યક્ત કરી હતી કે સરકાર સંવાદ દરમિયાન આપેલા તમામ વચનો નિર્ધારિત સમયમાં પૂરા કરશે. આંદોલન પૂરું થતાં જ દિલ્હીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે; જંતર-મંતર પર ઈન્ટરનેટ સેવાઓ પુનઃ શરૂ કરી દેવામાં આવી છે અને બંધ કરાયેલા મેટ્રો સ્ટેશનો પણ ખુલ્લા મુકી દેવાયા છે.









