દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી
India Corona Virus Case : દેશમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ કેરળ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાએ કુલ 20 રાજ્યોમાં પગપેસારો કરી નાખ્યો છે, ત્યારે દેશમાં વધુ 363 કેસ નોંધાયા હોવાના આંકડા સામે આવ્યા છે.
કેરળમાં વધુ 64 કેસ નોંધાયા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 363 કેસ નોંધાયા છે, તેમજ કોવિડ-19 સંબંધીત બે વ્યક્તિઓના મોત પણ નિપજ્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 3758 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ કેરળમાં સક્રિય કેસોની સંખ્યા વધુ છે, અહીં કુલ 1400 એક્ટિવ કેસ છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 485 અને દિલ્હીમાં 436 સક્રિય કેસ છે. તાજેતરમાં ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કેરળમાં 64, દિલ્હીમાં 61 અને મહારાષ્ટ્રમાં 18 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી
કેરળ અને કર્ણાટકમાં એક-એક મોત
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં કેરળ અને કર્ણાટકમાં કોરોના સંબંધી એક-એક દર્દીનું મોત થયું છે. કર્ણાટકમાં કોવિડ સંક્રમિત 63 વર્ષિય વ્યક્તિનું હોસ્પિટલમાં જ મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી મૃત્યુ પામેલાઓનો આંક ચાર થયો છે. અધિકારીઓએ કહ્યું કે, 21 મેએ નબળાઈની ફરિયાદ બાદ વૃદ્ધાને બેંગલુરુની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 29 મેએ તેમનું મૃત્યુ થયું છે. વૃદ્ધ દર્દીએ કોરોનાની રસી પણ લીધી હતી તેમજ તેમનો કીમોથેરાપી ચાલી રહ્યો હતો. આ ઉપરાંત તેઓ ટીબીથી પણ પીડિતા હતા. જ્યારે કેરળમાં 24 વર્ષિક મહિલાનું કોવિડ-19, સેપ્સિસ હાયપરટેન્શન અને ડિકમ્પેન્સેટેડ ક્રોનિક લિવર ડિસીઝથી પીડાતી હતી, જેના કારણે તેનું આજે મોત થયું છે.
આ પણ વાંચો : વિરાટ કોહલી ડરી ગયો ? નિવૃત્તિ મામલે ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીનો વિચિત્ર દાવો
દિલ્હીમાં કોવિડ પીડિત મહિલાનું મોત
દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસ પીડિત એક 60 વર્ષિય વૃદ્ધાનું મોત થયું હતું. એક અધિકારીએ કહ્યું કે, મહિલા તીવ્ર આંતરડાના અવરોધ અને લેપ્રોટોમીથી પીડાતી હતી. તેણીને કોવિડનો ચેપ લાગ્યો હોવાની આકસ્મિક રીતે જાણ થઈ હતી. જ્યારે કર્ણાટકમાં કોવિડ કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે એક જાહેર એડવાઈઝરી જારી કરી છે. આમાં, લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, શારીરિક અંતર જાળવવા અને સારી સ્વચ્છતાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે લોકોને સતર્ક રહેવા અને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે.
દેશમાં કોરોનાના ચાર વેરિયન્ટ એક્ટિવ
દેશમાં કોરોનાના LF.7, XFG, JN.1 અને NB.1.8.1 વેરિયન્ટ એક્ટિવ છે, તેમ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ જણાવ્યું છે. તાજેતરમાં કોરોનાના નવા વેરિઅન્ટ NB.1.8.1 અને LF7ના કેસો સામે આવી રહ્યા છે. જોકે આ વેરિઅન્ટ વધુ જોખમકારક માનવામાં નથી આવતો. પરંતુ, કોરોનાનો વેરિયન્ટ JN.1 ઝડપથી ફેલાઈ રહ્યો છે.
આ પણ વાંચો : ICCની મોટી કાર્યવાહી: આ ટીમના તમામ ખેલાડીઓને ફટકારી સજા, મેચ ફીસના પૈસા કાપ્યા