ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી
Edible Oil Price : વધતી જતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લઈને સામાન્ય જનતાને મોટી ખુશખબરી આપી છે. સરકારે ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની કસ્ટમ ડ્યૂટીમાં અડધો અડધ ઘટાડો કર્યો છે અને આ નિર્ણયને તાત્કાલીક અસરથી લાગુ કરવાનો આદેશ આપી દેવાયો છે. અગાઉ આ ખાદ્ય તેલો પરની મૂળ કસ્ટમ ડ્યૂટી 20 ટકા હતી, જેને ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે માર્કેટમાં તેલની કિંમતોમાં ઘટાડો થવાની આશા છે. નાણા મંત્રાલયની નવી નોટિફિકેશનને તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
ખાદ્ય તેલની મૂળ કસ્ટમ ડ્યૂટી 20%થી 10% કરાઈ
ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું કે, વર્તમાનમાં ખાદ્ય તેલની મૂળ કસ્ટમ ડ્યૂટી 20 ટકા હતી, જેને સરકારે ઘટાડીને 10 ટકા કરી દીધી છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)ના કાર્યકારી નિદેશક બી.વી.મહેતાએ પીટીઆઈને કહ્યું કે, ‘ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળ કસ્ટમ ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.
કસ્ટમ ડ્યૂટી ઘટાડવાનું જાહેરનામું તાત્કાલીક અસરથી લાગુ
મહેતાએ એમ પણ કહ્યું કે, ‘સુધારેલા દરો અંગેનું જાહેરનામું શુક્રવારે જારી કરવામાં આવ્યું હતું અને તે તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે. મૂળ કસ્ટમ ડ્યુટી અને વધારાની ડ્યુટી સહિત આ ત્રણેય ઉત્પાદનો પર અગાઉ 27.5 ટકા કસ્ટમ ડ્યૂટી હતી, જે હવે 16.5 ટકા કરવામાં આવી છે. જ્યારે રિફાઇન્ડ તેલ માટે 35.75 ટકા કસ્ટમ ડ્યૂટી લાગુ છે.
ભારત સૌથી વધુ રિફાઈન્ડ પામ તેલ આયાત કરે છે
ભારત વર્તમાન સમયની માંગ મુજબ 50 ટકાથી વધુ ખાદ્ય તેલોની આયાત કરે છે. મહેતાએ વધુમાં કહ્યું કે, ‘કાચા પામ તેલથી રિફાઈન્ડ પામ તેલ સસ્તુ હોવાથી ભારત તે વધુ આયાત કરે છે. ભારત મલેશિયા અને ઈન્ડોનેશિયાથી પામ તેલનું આયાત કરે છે.