વિરાટ કોહલી ડરી ગયો ? નિવૃત્તિ મામલે ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીનો વિચિત્ર દાવો
Virat Kohli And Monty Panesar : ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધા બાદ ઈંગ્લેન્ડના પૂર્વ બોલર મોન્ટી પાનેસરે કોહલી અંગે વિચિત્ર દાવો કર્યો છે. તેણે કહ્યું કે, વિરાટ કોહલીની નિવૃત્તિ ડરથી પ્રેરિત હતી. કોહલી એટલા માટે ઈંગ્લેન્ડ ન આવ્યા, કારણ કે તેને ચિંતા હતી કે, ટીમ મેનેજમેન્ટ તેને સિરીઝ વચ્ચેથી જ બહાર કરી શકે છે. ત્યારબાદ કોહલીએ વિચાર્યું કે, હવે સમય આવી ગયો છે અને યુવાઓને તક આપવી જોઈએ.
કોહલીએ 12 મેએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
વિરાટ કોહલીએ 12 મેએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ચીજ સિલેક્ટર અજીત અગરકરના જણાવ્યા મુજબ, કોહલીએ એપ્રિલમાં જ સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કોહલીએ મે મહિનામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા સંન્યાસની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મારા માટે આ નિર્ણય લેવો સરળ નહોતો, પરંતુ આ જ મને યોગ્ય લાગ્યું.’
કોહલીએ નિવૃત્તિ અંગે શું કહ્યું હતું?
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ સંન્યાસની ચર્ચાઓ પર એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે, અમારું કામ ફક્ત ICC ટ્રોફી જીતવાનું નથી, પરંતુ જ્યારે અમે રમત છોડીને જઈ રહ્યા હોઇએ ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ મજબૂત સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવાનું પણ છે. ઉલ્લેખનીય છે કે 9 માર્ચ, 2025 ના રોજ દુબઈમાં ભારતીય ટીમે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો : ICCની મોટી કાર્યવાહી: આ ટીમના તમામ ખેલાડીઓને ફટકારી સજા, મેચ ફીસના પૈસા કાપ્યા
મોન્ટી પાનેસરે કોહલીના સંન્યાસ અંગે શું કહ્યું?
વિરાટ કોહલીએ સંન્યાસની જાહેરાત કરતા જ ક્રિકેટજગતના દિગ્ગજો સહિત દેશ-વિદેશના ચાહકો આશ્ચર્ય પામ્યા હતા. દિલ્હીના કોચ સરનદીપ સિંહે કહ્યું હતું કે, આ નિર્ણય મારા માટે ચોંકાવનારો હતો, કારણ કે કોહલી ઈંગ્લેન્ડ ટેસ્ટ માટે તૈયારી કરી રહ્યા હતા. કોહલીના દેશ-વિદેશમાં કરોડો ચાહકો હોવા છતાં હવે મોન્ટી પાનેસરે વિચિત્ર દાવો કર્યો હતો. તેણે કહ્યું કે, ‘મને લાગતું હતું કે, કોહલી નિશ્ચિત રમવાના હતા, ઈંગ્લેન્ડ પણ આશા રાખી રહ્યા હતા, તમામ લોકો આશા રાખી રહ્યા હતા કે તેઓ રમશે. મને આશ્ચર્ય થયું કે તેઓ આવી રીતે પાછા હટી ગયા. કદાચ ઓફ સ્ટંપની બહારના ફેક્ટના કારણે, કે પછી કોઈએ તેમની સાથે વાત કરી તેથી... જો તમે કેટલીક ટેસ્ટ મેચોના સારું પ્રદર્શન કરતા નથી, તો તમામ પાંચ ટેસ્ટ મેચો રમવાની આશા ન રાખો. તેથી જ કદાચ તેણે (કોહલી) વિચાર્યું હશે કે, ઠીક છે, આને હું અહીં જ ખતમ કરી નાખું અને યુવાઓને તક આપું.’
ભારત શ્રેણી જીતી શકે છે
50 ટેસ્ટ રમી ચૂકેલા મોન્ટી પાનેસરે વધુમાં કહ્યું કે, જો ભારતનો મિડલ ઓર્ડર સારું પ્રદર્શન કરે છે, તો તેમની પાસે ટેસ્ટ શ્રેણી જીતવાની તક છે. કરુણ નાયર કેવું પ્રદર્શન કરે છે તેના પર નિર્ભર છે. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામે બેવડી સદી ફટકારી છે. શુભમન ગિલ અને મિડલ ઓર્ડર કેવી રીતે બેટિંગ કરે છે. જે બેટ્સમેનો કાઉન્ટી ક્રિકેટ રમી ચુક્યા છે તેઓ જો આંતરરાષ્ટ્રીય સ્તરે સમાન ફોર્મ ચાલુ રાખવામાં સક્ષમ હોય, તો ભારત પાસે જીતવાની તક હશે.'