'વંદે માતરમ્' ગાતા અટકાવશો તો થશે 3 વર્ષની જેલ! ચોમાસું સત્રમાં મોદી સરકાર લાવવા જઈ રહી છે નવો કાયદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

National Song Law India : કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સન્માનને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર એક નવું બિલ રજૂ કરશે, જેમાં રાષ્ટ્રીય ગીત ગાતા અટકાવનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ હશે. અત્યાર સુધી આ નિયમ માત્ર રાષ્ટ્રગાન 'જન-ગણ-મન' માટે જ લાગુ હતો, જે હવે રાષ્ટ્રીય ગીત માટે પણ અમલી બનશે.
કેન્દ્ર સરકાર રાજ્યસભામાં બિલ રજૂ કરશે
તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ નવા ખરડા મુજબ, 'જો કોઈ વ્યક્તિ જાણીજોઈને રાષ્ટ્રગાન કે રાષ્ટ્રીય ગીત ગવાતું અટકાવશે, તેમાં અડચણ ઊભી કરશે અથવા આવી સભામાં હંગામો મચાવશે, તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.' કેન્દ્ર સરકાર આ બિલને રાજ્યસભામાં રજૂ કરશે. આ પહેલા મોદી સરકાર તમામ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ ગાવું ફરજિયાત કરી ચૂકી છે.
રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ કાયદામાં સુધારો
સરકારે ચોમાસુ સત્ર માટે જે કાયદાઓ તૈયાર કર્યા છે, તેમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ (Prevention of Insults to National Honour Act)માં સુધારો કરવાનું બિલ લોકસભામાં લિસ્ટ કરવામાં આવ્યું છે. આ સુધારા દ્વારા જ રાષ્ટ્રીય પ્રતીકો અને ગીતોના અપમાન સામે કડક કાનૂની જોગવાઈઓ કરવામાં આવશે.
ગ્લોબલ ફંડ આકર્ષવા અને વિદેશી ફંડિંગ પર નિયંત્રણ
સરકાર લોકસભામાં એક એવું બિલ પણ લાવવાની છે, જેનો ઉદ્દેશ્ય ભારતના સોવરિન ડેટ માર્કેટ (Sovereign Debt Market)ને મજબૂત કરવાનો છે. આનાથી વિદેશી મૂડીરોકાણ સરળતાથી ભારતમાં આવી શકશે. આ સિવાય, વિદેશી ફંડિંગ પર નજર રાખવા માટે ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)માં સુધારો કરવાનું બિલ પણ લોકસભામાં ચર્ચા અને પસાર કરવા માટે લિસ્ટ થયું છે.
જન્મ-મરણની નોંધણીમાં વિલંબ બદલ કડક સજા
આ જ સત્રમાં સરકાર જન્મ અને મૃત્યુની નોંધણીને લઈને પણ કડક વલણ અપનાવવા જઈ રહી છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી કરાવવામાં વિલંબ કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી અને સજા કરવા માટેનું સુધારા બિલ લોકસભાની કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે.









