India

'હિંમત હોય તો ભૂલ સ્વીકારી લો...' કોંગ્રેસનો મમતા બેનરજીને પડકાર, જાણો 28 વર્ષ પહેલાનો વિવાદ

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો! કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને 21 જુલાઈના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. બંગાળ કોંગ્રેસ પ્રમુખ શુભાંકર સરકારે શરત મૂકી કે મમતાએ સ્વીકારવું પડશે કે 30 વર્ષ પહેલાં કોંગ્રેસ છોડવાનો નિર્ણય ભૂલ હતો. 1993ના શહીદ દિવસની વિરાસત પર જંગ છે, જેમાં યુવા કોંગ્રેસના 13 કાર્યકરો શહીદ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'હિંમત હોય તો ભૂલ સ્વીકારી લો...' કોંગ્રેસનો મમતા બેનરજીને પડકાર, જાણો 28 વર્ષ પહેલાનો વિવાદ

Mamata Banerjee TMC Congress Invitation July 21 : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાવો આવી ગયો છે. બંગાળ કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડાં અને મુખ્યમંત્રી મમતા બેનરજીને આગામી 21 જુલાઈના રોજ પ્રસ્તાવિત એક પક્ષીય કાર્યક્રમ માટે સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે. જોકે, આ આમંત્રણની સાથે કોંગ્રેસે મમતા બેનરજી સામે એક મોટી શરત અને પડકાર પણ મૂક્યા છે. બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભાંકર સરકારે જણાવ્યું છે કે, મમતા બેનરજીએ ખુલ્લા મનથી સ્વીકારી લેવું જોઈએ કે લગભગ ત્રણ દાયકા (30 વર્ષ) પહેલાં કોંગ્રેસ છોડવાનો તેમનો નિર્ણય એક મોટી રાજકીય ભૂલ હતી.

ઇતિહાસને તોડવા-મરોડવાનો પ્રયાસ ન કરો: કોંગ્રેસ

અહેવાલ મુજબ, શહીદ મિનાર ખાતે યોજાનારા ‘શહીદ દિવસ’ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ શુભાંકર સરકારે મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "જો મમતા બેનરજીમાં ખરેખર હિંમત હોય તો તેમણે ઇતિહાસને તોડવો-મરોડવો જોઈએ નહીં. તૃણમૂલ સુપ્રીમોએ સ્વીકારવું જ જોઈએ કે ભૂતકાળમાં તેમણે લીધેલો નિર્ણય ખોટો હતો. જો તેઓ શહીદ મિનાર ખાતે અમારા કાર્યક્રમમાં આવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય, તો તેમનું સ્વાગત છે." કોંગ્રેસ નેતાએ ઉમેર્યું કે જે નેતા પોતાના રાજકીય ભૂતકાળનું સન્માન કરે છે, તેને જ જનતા તરફથી વધુ સન્માન મળે છે.

1993ના આંદોલનની વિરાસત પર જંગ

શુભાંકર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે 21 જુલાઈ 1993નું ઐતિહાસિક આંદોલન યુવા કોંગ્રેસના બેનર હેઠળ જ આયોજિત કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ સાથેના તેના જોડાણને ઇતિહાસના પાનાઓમાંથી ક્યારેય ભૂંસી શકાય તેમ નથી. સરકારના મતે, જો મમતા આ વર્ષે કોંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થાય અને પક્ષ છોડવાની પોતાની રાજકીય ભૂલનો સ્વીકાર કરે, તો તે દેશના રાજકારણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

શા માટે મનાવવામાં આવે છે શહીદ દિવસ?

આ વિવાદ પાછળનો ઇતિહાસ ઘણો જૂનો છે. 21 જુલાઈ 1993ના રોજ મમતા બેનરજીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસે એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જેના પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 13 કાર્યકરોના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ડિસેમ્બર 1997માં મમતા બેનરજીએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાની અલગ પાર્ટી ‘તૃણમૂલ કોંગ્રેસ’ (TMC) નું ગઠન કર્યું હતું. ત્યારથી મમતા બેનરજી દર વર્ષે આ દિવસે એક અતિવિશાળ રેલીનું આયોજન કરીને પોતાની રીતે શહીદ દિવસ મનાવતા આવ્યા છે, જ્યારે કોંગ્રેસ તેની અસલી વિરાસત પોતાની હોવાનો દાવો કરી રહી છે.