- પ્રારંભિક સ્ફોટમાં જ કરોડો લોકોના મોત થઈ શકે
- બચી ગયેલા દેશો અને લોકોએ પણ ગંભીર પરિણામો સામે ઝઝૂમવું પડશે, કૃષિ અશક્ય બનતા ખોરાકની તંગી સર્જાશે
કરોડો ડીગ્રી સેલ્સિયસના અગનગોળાથી વાતાવરણમાં ધૂમાડા અને રાખથી પૃથ્વી પર અંધકાર છવાઈ જશે
નેચર સામયિકમાં અગ્રણીઓએ કરેલા અવલોકન અનુસાર મોટા પાયે પરમાણુ યુદ્ધથી વિશ્વભરમાં લગભગ પાંચ અબજ જેટલા લોકોના મોત થઈ શકે. પરમાણુ શસ્ત્રોમાંથી થતા સ્ફોટથી લગભગ ૧૦ કરોડ ડીગ્રી સેલ્સિયસના તાપમાન સુધી પહોંચતા અગનગોળા સર્જાઈ શકે. વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે શહેરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નાશ સાથે વાતાવરણમાં પ્રવેશતા વિશાળ પ્રમાણમાં ધૂમાડા અને રાખથી પરમાણુ શિયાળો સર્જાઈ શકે, જેનાથી સમગ્ર પૃથ્વી વર્ષોના અંધકાર અને અભૂતપૂર્વ નીચા વૈશ્વિક તાપમાનમાં ગરકાવ થઈ જશે.
સંશોધકોએ જણાવ્યું છે કે પરમાણુ યુદ્ધના પરિણામમાંથી માત્ર બે દેશો, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ સરખામણીએ બહેતર રીતે બચી શકે. તેમની ભૌગોલિક અલગતા અને કૃષિ બચાવી શકવાની ક્ષમતાને કારણે તેઓ પરમાણુ શિયાળાની સૌથી ખરાબ અસરોથી બચી શકે. જો કે આ દેશોએ પણ રેડિયેશન જોખમો, ઓઝોન સ્તરમાં નુકસાન અને ગંભીર ખોરાક તંગી સહિતના તીવ્ર પડકારોનો સામનો કરવો પડશે, જેના કારણે બચી ગયેલા લોકોએ સંભવિતપણે ભૂગર્ભમાં વાસ કરવો પડી શકે અને મૂળભૂત સ્રોતો માટે દરરોજ સંઘર્ષ કરવો પડી શકે.
'ન્યુક્લીઅર વોરઃ એ સીનેરિયો'ની લેખિકા અને આર્મેગેડોન સંશોધક એની જેકબસને આવા વિનાશના સંભવિત પરિણામ સમજવા માટે સંરક્ષણ નિષ્ણાંતોનો અભિપ્રાય લીધો અને અનેક વૈજ્ઞાાનિક અભ્યાસોનું વિશ્લેષણ કર્યું. પોતાના પોડકાસ્ટમાં તેણે સ્પષ્ટતા કરી કે પ્રારંભિક સ્ફોટોમાં કરોડો લોકોના મોત થશે. ઉપરાંત સીધા પ્રભાવમાંથી મુક્ત રહેલા વિસ્તારોમાં પણ પર્યાવરણના નાશ અને લાંબા ગાળાના હવામાન વિક્ષેપ સહિતના ગંભીર પરિણામ જોવા મળી શકે.
જેકબસને નોંધ કરી કે લાંબો સમય ચાલનાર અંધકાર અને તીવ્ર ઠંડા હવામાનને કારણે વિશ્વના અનેક વિસ્તારોમાં કૃષિ વ્યવસાય પડી ભાંગશે. અમેરિકામાં આઈઓવા અને યુક્રેન સહિત પાક ઉત્પાદન માટે પ્રસિદ્ધ વિસ્તારો વર્ષો સુધી બરફથી આચ્છાદિત રહેતા કૃષિ અશક્ય બનશે. પ્રારંભમાં સ્ફોટથી લગભગ ત્રણ અબજ લોકો બચી જવા છતાં તેમના જીવન ખોરાકની તંગી, સામાજિક પતન અને વ્યાપક વિસ્થાપનથી પ્રભાવિત થશે.


