India

'અમારા 6 સવાલોના જવાબ સરકાર નહીં આપે તો કોણ આપશે?', ગૃહમંત્રી અમિત શાહ પર CJP ભડકી

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
કૉક્રોચ જનતા પાર્ટી (CJP) ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કેન્દ્ર સરકાર પર સંસદમાં વિપક્ષ અને યુવાનોનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે X પર જણાવ્યું કે, સંસદના ચોમાસુ સત્રમાં CJP ના વિરોધ પ્રદર્શનો અને જનહિતના 6 સવાલોના જવાબ સરકારે આપ્યા નથી. લોકસભા સાંસદ માથેસ્વરન વી.એસ. દ્વારા પૂછાયેલા NEET-UG ફી પરત, પેપર લીક જેવા મુદ્દાઓને રદ કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમારા 6 સવાલોના જવાબ સરકાર નહીં આપે તો કોણ આપશે?', ગૃહમંત્રી અમિત શાહ પર CJP ભડકી

Saurav Das CJP : કૉક્રોચ જનતા પાર્ટી (CJP) ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કેન્દ્ર સરકાર પર સંસદમાં વિપક્ષ અને યુવાનોનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા તેમણે દાવો કર્યો છે કે તાજેતરમાં સંપન્ન થયેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારે સીજેપી (CJP) ના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને જનહિતના સવાલોના જવાબ આપવાનો ઇનકાર કરી દીધો છે. સૌરવ દાસના જણાવ્યા અનુસાર, લોકસભા સાંસદ માથેસ્વરન વી.એસ. દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય સમક્ષ જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેને લોકસભાના નિયમ 41(2) ની વિવિધ ઉપ-ધારાઓનો હવાલો આપીને રદ કરી દેવામાં આવ્યા છે.

સાંસદ દ્વારા પૂછવામાં આવેલા આ 6 મહત્ત્વના મુદ્દાઓને કરાયા રદ
સૌરવ દાસે જણાવ્યું કે સાંસદ દ્વારા જનતા અને વિદ્યાર્થીઓના હિતને લગતા 6 પ્રમુખ મુદ્દાઓ પર સવાલો રજૂ કરાયા હતા, જેને ફગાવી દેવા અયોગ્ય છે:

  1. NEET-UG 2026 માટે અરજી ફી પરત કરવા બાબતે.
  2. સરકારની કામગીરી પ્રત્યે જનતામાં વધી રહેલા અવિશ્વાસ અંગે.
  3. દિલ્હીમાં CJP પ્રદર્શનકારીઓને પીવાનું પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓ ન આપવા મુદ્દે.
  4. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સરકારના સંવાદ અંગે.
  5. વિદ્યાર્થીઓનું કલ્યાણ, પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા.
  6. શાંતિપૂર્ણ વિરોધના મૌલિક અધિકારનો ઉપયોગ કરતા નાગરિકો સાથેના વ્યવહાર બાબતે.

ગૃહમંત્રી અમિત શાહ અને સરકારની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ

સૌરવ દાસે સરકારની મંશા પર પ્રશ્નાર્થ કરતા પૂછ્યું કે જો આવા જનહિતના મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા ન થઈ શકે, તો સરકારની જવાબદારી ક્યાં નક્કી થશે? શું લોકોએ જવાબ મેળવવા માટે રસ્તા પર જ ઉતરવું પડશે? તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર સીધું નિશાન સાધતા સવાલ કર્યો કે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના સંવેદનશીલ સમયગાળામાં તેમણે સંસદમાં આવીને સ્પષ્ટતા કેમ ન કરી. તેમણે ઉમેર્યું કે સંસદમાં સવાલ પૂછવાનો અધિકાર એ સંસદીય લોકશાહીનો આત્મા છે, સરકાર સંસદનું મોં બંધ કરીને તેને પોતાની નીતિઓ પર મ્હોર મારતી સંસ્થા બનાવી શકે નહીં.

વડાપ્રધાનના 'દિમાગી નક્સલ' વાળા નિવેદન પર આકરી પ્રતિક્રિયા

આ અગાઉ સૌરવ દાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં 'દિમાગી નક્સલ' ના ઉલ્લેખને લઈને પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. સીજેપી નેતાએ સ્પષ્ટ કર્યું કે માત્ર સરકારને સવાલ પૂછવાને કારણે ભણેલા-ગણેલા યુવાનોને નક્સલી કહી શકાય નહીં. તેમણે આક્ષેપ કર્યો કે આ સરકારનો અહંકાર છે અને યુવાનોની સમસ્યાઓ ઉકેલવામાં તેમની સંપૂર્ણ નિષ્ફળતા છે. અંતમાં તેમણે ચીમકી આપતા કહ્યું હતું કે હવે બદલાવની ઘંટી વાગી ચૂકી છે અને સરકાર માટે જાગવાનો સમય આવી ગયો છે.