'હું સાવરકર નથી, હું રાહુલ ગાંધી છું', 'ડીઅર મોદી-શાહ, આ રાહુલ ગાંધી છે, ઝુકેગા નહીં'
Updated: Jun 13th, 2022
- કોવિડ ટેસ્ટ નેગેટિવ આવવાના કારણે પ્રિયંકા ગાંધી દિલ્હી ખાતે યોજાનારા પ્રદર્શનમાં સામેલ થાય તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 13 જૂન 2022, સોમવાર
નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ ગાંધી આજે ઈડી સમક્ષ ઉપસ્થિત થશે. આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા એક વિશાળ પ્રદર્શનની યોજના બનાવવામાં આવી છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના તમામ સાંસદો, કાર્યસમિતિના સદસ્ય અને પ્રમુખ નેતા પણ ઈડીના કાર્યાલય સુધી જશે.
રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય જવા માટે રવાના થયા છે અને ત્યાં તેઓ પહેલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ ઈડીના કાર્યાલય જવા રવાના થવાના છે. પ્રિયંકા ગાંધી પણ તેમને મળવા માટે પહોંચી ગયા છે. દિલ્હી ખાતે યોજાનારા પ્રદર્શનમાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થાય તેવી શક્યતા જણાઈ રહી છે કારણ કે, તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
આ તરફ કોંગ્રેસી કાર્યાલયની બહાર પહોંચેલા પાર્ટીના કાર્યકરો 'મેં ભી રાહુલ', 'ઝુકેંગે નહીં' જેવા નારાઓ લગાવી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીના સમર્થનમાં વિવિધ પોસ્ટર્સ પણ લગાવ્યા છે. એક પોસ્ટરમાં લખ્યું છે કે, 'હું સાવરકર નથી, હું રાહુલ ગાંધી છું.' અન્ય એક પોસ્ટરમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીને ઉદ્દેશીને લખ્યું છે કે, 'ડીઅર મોદી-શાહ, આ રાહુલ ગાંધી છે, ઝુકેગા નહીં.'
કોંગ્રેસી કાર્યકરોએ પટના ખાતે ઈડીના કાર્યાલય સામે પ્રદર્શન હાથ ધર્યું
આ તરફ એક કાર્યકર રાહુલ ગાંધીને સમર્થન આપવા માટે રાવણનો વેષ ધરીને પહોંચ્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર 'રાવણ'નો રોલ ભજવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આગળ કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારને જણાવવા માગીએ છીએ કે, રાહુલ ગાંધી અમારા રામ છે. રાહુલ ગાંધી જ્યાં સુધી ઈડીના કાર્યાલયની બહાર નહીં નીકળે ત્યાં સુધી પ્રદર્શન ચાલું રહેશે.
વધુ વાંચોઃ રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થશે, કોંગ્રેસી નેતાઓએ ઘડી 'સત્યાગ્રહ'ની યોજના