India

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ

By GS Team
10 Jun 20263 mins read
TukuTouch Logo
વધતા તાપમાન, ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણી પુરવઠાને કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ખાનગી અને સરકારી ટેન્કરો પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. શહેરમાં પાણીના ટેન્કરોની દૈનિક માંગ વધીને 20,000 સુધી પહોંચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ

Hyderabad Water Crisis: વધતાં તાપમાન, ઘટતાં ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણી પુરવઠાને કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ખાનગી અને સરકારી ટેન્કરો પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. શહેરમાં પાણીના ટેન્કરોની દૈનિક માંગ વધીને 20,000 સુધી પહોંચી ગઈ છે.

સંકટની ગંભીરતાને કારણે ટેન્કરોની માગમાં મોટો વધારો નોંધાયો છે. મે મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન દૈનિક બુકિંગ 15,000ને પાર પહોંચી ગયું હતું, જે હૈદરાબાદ મેટ્રોપોલિટન વોટર સપ્લાય ઍન્ડ સીવરેજ બોર્ડ (HMWS&SB) દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અંદાજ કરતાં ઘણું વધારે છે. 

આ કારણોસર સ્થિતિ વધુ વણસી

HMWS&SBના મેનેજિંગ ડિરેક્ટર કે. અશોક રેડ્ડીના જણાવ્યા પ્રમાણે વર્ષોથી કાર્યરત બોરવેલ સૂકાઈ જવાને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે.

તેમણે કહ્યું કે, 'સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાથી ટેન્કરોનું બુકિંગ વધવા લાગતું હોય છે. અગાઉ અમને સમગ્ર હૈદરાબાદમાં પ્રતિદિન અંદાજે 1,500થી 2,000 ટેન્કરોના બુકિંગ મળતા હતા. જોકે, આ વર્ષે ભૂગર્ભ જળસ્તર ઘટવાને કારણે અને પાછલા ચાર-પાંચ વર્ષોમાં ક્યારેય ન સૂકાયા હોય તેવા અનેક બોરવેલ પણ સૂકાઈ જવાને લીધે માગમાં મોટો ઉછાળો આવ્યો છે.'

ઉનાળાની ઋતુમાં સર્જાતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વોટર બોર્ડે પ્રતિદિન અંદાજે 13,000 ટેન્કરો દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે પોતાના માળખાકીય સંચાલનનો વિસ્તાર કર્યો હતો. જોકે, પાણીની માગ અપેક્ષા કરતાં ઘણી વધારે હતી, જેના કારણે અધિકારીઓને ત્રણ શિફ્ટમાં સેવાઓ ચલાવવા માટે મજબૂર થવું પડ્યું. 

પાણી પહોંચાડવામાં વિલંબ

અધિકારીઓએ કહ્યું કે, 24 કલાકની અંદર ટેન્કરો દ્વારા પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, પાણી પહોંચાડવામાં વિલંબ થતો હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે, ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ગંભીર છે.

કેટલાક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા દર ચારથી પાંચ દિવસે માત્ર એક જ વાર પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેના કારણે પરિવારોને રોજિંદા વપરાશ માટે પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા માટે મજબૂર થવું પડે છે. 

આ પણ વાંચો: હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો

હૈદરાબાદના મુશીરાબાદના એક નિવાસીએ કહ્યું કે, 'પાણીનો પુરવઠો ઘટીને દર ચારથી પાંચ દિવસે માત્ર એક જ વાર થઈ ગયો છે. ટેન્કર બુક કરાવ્યા પછી પણ તે સમયસર ઉપલબ્ધ થતા નથી. અમને રોજિંદી ઘરેલું જરૂરિયાતો પૂરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.'

પાણીની ક્વોલિટીને લઈને પણ ચિંતા

પાણીની ક્વોલિટીને લઈને પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રસૂલપુરાના એક નિવાસીએ આરોપ લગાવ્યો કે, 'પાણીની અછતની સાથે-સાથે નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે. વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. લોકો પીવાના પાણીની તંગીની સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને લઈને પણ ચિંતિત છે.'

વિપક્ષ આક્રમક

આ વણસી રહેલી સ્થિતિ વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. તેલંગાણા ભાજપના અધ્યક્ષ રામચંદ્ર રાવે કોંગ્રેસ સરકાર પર આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો છે.

ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના કાર્યકારી અધ્યક્ષ કે. ટી. રામારાવે પણ જળ સંકટ મુદ્દે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતાં દાવો કર્યો હતો કે, અગાઉની બીઆરએસ સરકારના શાસન દરમિયાન હૈદરાબાદમાં પાણી કે વીજળીની કોઈ અછત નહોતી.

શહેરને વરસાદથી રાહતની આશા

હૈદરાબાદને હાલમાં પ્રતિદિન 700થી 750 મિલિયન ગેલન પીવાના પાણીની જરૂરિયાત છે, અને તાપમાનમાં વધારાની સાથે આ આંકડો સતત વધી રહ્યો છે.

અધિકારીઓ હવે ગોદાવરી ફેઝ-II અને ફેઝ-III પીવાના પાણીના પ્રોજેક્ટ્સ પર આશા લગાવીને બેઠા છે, જેનાથી આગામી વર્ષ સુધીમાં લગભગ 300 એમજીડી પાણીનો પુરવઠો વધવાની અપેક્ષા છે.

હાલમાં તો, શહેરની તાત્કાલિક આશાઓ આકાશ (ચોમાસા) પર ટકેલી છે. જ્યાં સુધી પૂરતો ચોમાસાનો વરસાદ ન થાય, ત્યાં સુધી હૈદરાબાદની ટેન્કરો પરની વધતી નિર્ભરતા યથાવત્ રહેવાની સંભાવના છે.