India

ગૃહમંત્રી સંસદમાં જવાબ આપે અને PM મોદી માફી માંગે: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ખડગેનો સરકાર પર પ્રહાર

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પાસે વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ફાયરિંગ, પેલેટ ગન અને ટીયર ગેસનો ઉપયોગ અત્યાચાર છે. ખડગેએ ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને સ્પષ્ટતા આપે તેવી માંગ કરી. તેઓએ જણાવ્યું કે, ગૃહમંત્રીના જવાબ ન આપવાથી સંસદ નથી ચાલી રહી અને PM મોદી માફી માંગે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૃહમંત્રી સંસદમાં જવાબ આપે અને PM મોદી માફી માંગે: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ખડગેનો સરકાર પર પ્રહાર

Mallikarjun Kharge: રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જંતર-મંતર પાસે વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'છેલ્લા 15 દિવસથી સમગ્ર વિપક્ષ એ માંગ પર અડગ છે કે ગૃહમંત્રી ખુદ સંસદમાં આવીને જવાબ આપે.'

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ખડગેનો સરકાર પર પ્રહાર

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'વિદ્યાર્થીઓ સાથે અન્યાય અને અત્યાચાર થયો છે. જે રીતે તેમના પર લાઠીચાર્જ અને ફાયરિંગ કરવામાં આવ્યું તે ખોટું હતું. આવા સાધનોનો ઉપયોગ ન થવો જોઈએ. પેલેટ ગન, ટીયર ગેસ, લાઠી, ઈલેક્ટ્રિક બેટન, ખીલીવાળી લાકડીઓ, આ તમામનો ઉપયોગ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ કોઈ હોબાળો નહોતો મચાવ્યો. શું તેમણે 20-50 સરકારી વાહનો તોડ્યા હતા? શું કોઈ નેતાને રોકીને સવાલ પૂછ્યા હતા? તેઓ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ તેમને હટાવવા માટે જે પદ્ધતિઓ અપનાવવામાં આવી તે ખૂબ જ ખોટી છે.'

ખડગેએ માંગ કરી કે, ગૃહમંત્રી ખુદ સંસદમાં આવીને સ્પષ્ટતા આપે. તેમણે કહ્યું કે, 'તેમને સંસદમાં આવીને જવાબ આપવામાં શું મજબૂરી છે? તેના માત્ર બે જ અર્થ હોઈ શકે છે. એક તો તેઓ વિચારી રહ્યા છે કે આ મુદ્દાને અવગણવામાં આવે અને બીજું કે તેઓ ડરી ગયા છે. હું બસ એટલું જ પૂછવા માંગુ છું કે જે દુઃખ તમે વિદ્યાર્થીઓને પહોંચાડ્યું છે, જે દુઃખ તેમના માતા-પિતા સુધી પહોંચ્યું છે, તેના માટે અમે સદનમાં તમારી હાજરી ઈચ્છીએ છીએ.'

ખડગેએ આગળ કહ્યું કે, 'તેઓ સદનમાં નથી આવી રહ્યા, તેથી સદન નથી ચાલી રહ્યું. સદન ન ચાલવાની જવાબદારી માત્ર ગૃહમંત્રી અમિત શાહની છે, સંસદસભ્યોની નહીં. આ જ કારણોસર આજે અમે રાજ્યસભામાં આ મુદ્દો ફરીથી ઉઠાવ્યો છે.'

ગૃહમંત્રી સંસદમાં જવાબ આપે અને PM મોદી માફી માંગે

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 'વિપક્ષ ઈચ્છે છે કે વડાપ્રધાન માફી માંગે અને ગૃહમંત્રી સંસદમાં નિવેદન આપે. ભલે ઝારખંડ હોય, પંજાબ હોય કે દિલ્હી હોય, અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. તેમની સમસ્યાઓ ઉકેલવા માટે અમે લડતા રહીશું.'