'વધુમાં વધુ બાળકો પેદા કરો, ઈન્સેન્ટિવ આપીશું...' NDAના સૌથી મોટા સહયોગીની સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Andhra Pradesh CM Chandrababu Naidu: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ રાજ્યના રહેવાસીઓને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી છે. રાજ્યમાં વૃદ્ધોની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને તેમણે આ સલાહ આપી છે. તેમણે શનિવારે (19મી ઓક્ટોબર) કહ્યું કે, 'રાજ્ય સરકાર વસ્તી વ્યવસ્થાપન માટે આયોજન કરી રહી છે. આ અંતર્ગત એક બિલ લાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં, એવો કાયદો બનાવવાની પણ વિચારણા ચાલી રહી છે કે જેના હેઠળ બેથી વધુ બાળકો હોય તેવા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે.'
'વધુ બાળકો ધરાવતા પરિવારોને વધુ સુવિધાઓ આપવા વિચારણા'
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'અગાઉ અમે એવો કાયદો બનાવ્યો હતો જેમાં વધુ બાળકો ધરાવતા લોકો ચૂંટણી લડી ન શકે. પરંતુ હવે અમે તે કાયદો નાબૂદ કર્યો છે અને તેને બદલવાનું વિચારી રહ્યા છીએ. સરકાર વધુ બાળકો ધરાવતા પરિવારોને વધુ સુવિધાઓ આપવાનું વિચારી રહી છે.'
'આંધ્ર પ્રદેશમાં વધતી જતી વૃદ્ધ વસ્તી ચિંતાનો વિષય'
આંધ્ર પ્રદેશમાં વધતી જતી વૃદ્ધ વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, 'અમને 2047 સુધી ડેમોગ્રાફિક એડવાન્ટેજ છે. પરંતુ દક્ષિણના રાજ્યો ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં વધતી જતી વૃદ્ધ વસ્તી ચિંતાનો વિષય છે. જાપાન, ચીન સહિત કેટલાક યુરોપિયન દેશો પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. આ સમસ્યા દક્ષિણ ભારતમાં થઈ રહી છે કારણ કે યુવાનો દેશના અન્ય ભાગોમાં અથવા વિદેશમાં જઈ રહ્યા છે.'
આ પણ વાંચો: રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, બસે ટેમ્પોને ફંગોળી નાખ્યું, 8 બાળકો સહિત 11નાં દર્દનાક મોત
'દેશના અનેક ગામોમાં હવે માત્ર વૃદ્ધો જ બચ્યા છે'
મુખ્યમંત્રીએ દક્ષિણના રાજ્યોમાં ઘટી રહેલા પ્રજનન દર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'અહીં પ્રજનન દર 1.6 ટકા છે જે રાષ્ટ્રીય દર 2.1 કરતા ઘણો ઓછો છે. જો પરિસ્થિતિ આવી જ રહી તો 2047 સુધીમાં આપણી વૃદ્ધોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થશે.આંધ્ર પ્રદેશમાં જ નહીં, દેશના અનેક ગામોમાં હવે માત્ર વૃદ્ધો જ બચ્યા છે.
ચંદ્રાબાબુ નાયડુએ વસ્તી નિયંત્રણ અંગેના તેમના અગાઉના પ્રયાસો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'તે સમયે પરિસ્થિતિ અલગ હતી. ઝડપથી વધતી વસ્તીને કારણે કુદરતી સંસાધનો જોખમમાં હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.'




