Get The App

ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી 1 - image

- મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે આયાત પર નિર્ભરતા ઘટાડવા પ્રયાસ

- ડીઝલમાં 10 ટકા આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ જ્યારે કમર્શિયલ એલપીજીમાં ડાઈમિથાઈલ ઈથરનું મિશ્રણ કરાશે 

- ડીએમઈ મિશ્રિત એલપીજી ઘરમાં ભોજન બનાવવા માટે અયોગ્ય, માત્ર હોટેલ, રેસ્ટોરાં, ઉદ્યોગો માટે વપરાશે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા ઊર્જા સુરક્ષા સંકટ અને ક્રૂડ ઓઈલ માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારે ડીઝલ અને કમર્શિયલ એલપીજીમાં ભેળસેળની શરૂઆત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) આ ઈંધણો માટે ગુણવત્તા માપદંડોને અંતિમરૂપ આપવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર ડીઝલમાં આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ અને કમર્શિયલ એલપીજીમાં ડીએમઈના મિશ્રણને મંજૂરી આપે તેવી શક્યતા છે.

ભારતીય માનક બ્યુરો મુજબ ડીઝલમાં ૧૦ ટકા આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ (આઈબીએ)નું મિશ્રણ કરાશે. આઈબીએ એક જ્વલનશિલ લિક્વિડ છે, જે સામાન્ય રીતે અનાજમાંથી બને છે. રિફાઈનરીઓ અને ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝમાંથી મળેલા સૂચનોના આધારે આ મિશ્રણ તૈયા કરાઈ રહ્યા છે. 

સૂત્રો મુજબ બીઆઈએસના આ માપદંડ ૧૫ જૂન સુધીમાં જાહેર થઈ શકે છે. બીઆઈએસની ટીમ હિસ્સેદારો સાથે સતત બેઠક કરી રહી છે.  સરકારના આ નિર્ણયથી આયાતી ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતો તથા ગ્રામીણ અર્થતંત્રને નવું બજાર મળી શકે છે. 

સરકારે કમર્શિયલ ઉપયોગ માટે ડાઈમિથાઈલ ઈથર (ડીએમઈ) મિશ્રિત એલપીજીના માપદંડોને પણ અંતિમ રૂપ આપી દીધું છે. ડીએમઈ પ્રાકૃતિક ગેસ, કોલસા અને બાયોમાસથી બનાવી શકાય છે. તેનું નોટિફિકેશન ૧૫ મે ૨૦૨૬ સુધીમાં આવી શકે છે. આ દિવસે સંશોધિત માપદંડ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરોમાં હાલ આ મિશ્રણ કરાશે નહીં. આ માત્ર હોટેલ, રેસ્ટોરાં, ઉદ્યોગો જેવા કમર્શિયલ યુઝર માટે હશે. અધિકારીઓ મુજબ ડીએમઈ મિશ્રણ ઘરેલુ ભોજન પકવવા માટે હાલ યોગ્ય નથી.

મિશ્રિત ડીઝલના ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના ડૉ. ભારત નેવલકરની આગેવાનીવાળા વર્કિંગ ગૂ્રપે તૈયાર કર્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણ કેરેક્ટરાઈઝેશનનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી વધુ સેમ્પલ ટેસ્ટ કર્યા હતા. અંતિમ નોટિફિકેશન પહેલા માપદંડોનો ડ્રાફ્ટ જાહેર સૂચનો માટે જાહેર કરવામાં આવશે.

ઓટોમોટિવ સિવાય ઘરેલુ, કમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે ભારત પાસે પહેલાથી જ એલપીજી મિશ્રણ માટે માપદંડ છે, પરંતુ સરકારે તેને લાગુ કર્યા નહોતા. હવે સરકારે તેને માત્ર કમર્શિયલ ઉપયોગ માટે પ્રાથમિક્તા આપતા સુધારો કરવાનો નિર્ણય કર્યો છે.