PM Modi In G7 Summit: ફ્રાન્સના એવિયનમાં G-7 સમિટમાં મંગળવારે(16 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. સમિટના આઉટરીચ સત્ર દરમિયાન પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. 16 મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. જો કે, ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવતાં કહ્યું કે, 'ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા...'
G-7 સમિટને સંબોધતા પીએમ મોદીએ શું કહ્યું?
G-7 સમિટને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, 'આજનું વિશ્વ પહેલા કરતાં વધુ એકબીજા સાથે જોડાયેલું અને પરસ્પર નિર્ભર છે. કોઈ પણ દેશની ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, સાયબર સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ તેની સરહદો સુધી મર્યાદિત નથી. ગતિશીલતા, ડેટા, મૂડી અને ટૅક્નોલૉજી આ બધું આપણને જોડે છે. આવા સમયમાં ભાગીદારીનું મહત્ત્વ સ્વાભાવિક રીતે વધે છે, પરંતુ ભાગીદારી ત્યારે જ સફળ થાય છે જ્યારે વિશ્વાસ તેના મૂળમાં હોય છે. આજે, સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ ખનિજો, ટૅક્નોલૉજીઓ કે બજારો નથી પરંતુ પરસ્પર વિશ્વાસ છે.'
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 'ટૅક્નોલૉજી અને સપ્લાય ચેઇનનો ઉપયોગ શસ્ત્ર તરીકે નહીં, પણ વૈશ્વિક ભલા માટે થશે. વિકાસની તકો થોડા દેશો સુધી મર્યાદિત રહેશે નહીં. વૈશ્વિક સંસ્થાઓ બધા દેશોની આકાંક્ષાઓ પૂરી કરી શકશે.'
વિશ્વ યુદ્ધને લઈને પીએમ મોદીએ કહ્યું કે, 'છેલ્લી સદીમાં માનવતાને બે વિશ્વયુદ્ધોનો સામનો કરવો પડ્યો. ઘણા બલિદાન પછી વિશ્વ સમુદાયે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે સિસ્ટમો વિકસાવી. આ સિસ્ટમો પણ વિશ્વાસ પર આધારિત હતી, પરંતુ ઘણી પેઢીઓના યોગદાન દ્વારા દાયકાઓથી બનેલો વિશ્વાસ પ્રભાવિત થઈ રહ્યો છે. કોવિડે આપણને બતાવ્યું છે કે, વિશ્વાસ અને એકતાના દાવા કેટલા પોકળ હતા. આજની દુનિયા સંસાધનોની અછત સાથે નહીં, પરંતુ વિશ્વાસના અભાવ સાથે સંઘર્ષ કરી રહી છે અને આપણી ભાગીદારીનું ભવિષ્ય આ વિશ્વાસ પર નિર્ભર છે.'
ભારતીય નાવિકોના મોત અંગે પીએમ મોદીએ શું કહ્યું?
આ બેઠક દરમિયાન પીએમ મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસ ભારતીય નાવિકોના મોત અંગે કડક વલણ અપનાવતાં કહ્યું, 'અમે પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રયાસોમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષથી પશ્ચિમ એશિયામાં આપણા મિત્ર દેશો માટે જાનમાલનું નુકસાન થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપથી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન થયું છે. ઘણા ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા નાવિકોની સુરક્ષા આપણી જવાબદારી છે. આપણે ખાતરી કરવી જોઈએ કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને નાવિકો ભય વિના પોતાનું કાર્ય કરી શકે. તત્કાલીન યુએસ રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન કહેતા હતા, 'વિશ્વાસ કરો પણ ચકાસો.' આ વાત આજે પણ સુસંગત છે. નવા યુગમાં વિશ્વાસ બનાવવાની આપણી ભાવિ પેઢીઓ પ્રત્યે જવાબદારી છે.'
વિવિધ દેશોને વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવા મામલે પીએમ મોદીએ કહ્યું કે, 'ભારતે કટોકટીના સમયમાં બધા દેશોને મદદ કરવાની પોતાની જવાબદારી માની છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતે 150થી વધુ દેશોને દવાઓ અને રસીઓ પૂરી પાડી. શ્રીલંકામાં ચક્રવાત હોય, અફઘાનિસ્તાનમાં ભૂકંપ હોય, મોઝામ્બિકમાં પૂર હોય કે ક્યુબા અને જમૈકામાં વાવાઝોડા હોય, ભારતે હંમેશા 'માનવતા પહેલા'ના સિદ્ધાંત પર કામ કર્યું છે. અમારી વિકાસ ભાગીદારી પણ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. અમારા પ્રયાસો ભાગીદાર દેશોમાં ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત છે.'
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે બુધવારે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક દરમિયાન વેપાર સોદાઓ પર પણ ચર્ચા થશે. નોંધનીય છે કે, ભારત G-7 ભાગીદાર દેશ તરીકે 13મી વખત સમિટમાં ભાગ લઈ રહ્યું છે. આ સાતમી વખત છે જ્યારે વડાપ્રધાન મોદી આ વૈશ્વિક મંચમાં ભાગ લઈ રહ્યા છે.
G-7 સમિટ શું છે?
G-7 સમિટ સાત વિકસિત દેશોનો સમૂહ છે, જ્યાં વાર્ષિક ધોરણે એક નિર્ધારિત એજન્ડા હેઠળ ચર્ચાઓ થાય છે. આ વર્ષે, ફ્રાન્સ સમિટનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. દરેક સભ્ય દેશ વારાફરતી તેનું અધ્યક્ષપદ સંભાળે છે.


