India

'કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિત લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો...' સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

By GS TEAM
10 Mar 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર 'નો-ફોલ્ટ'(no-fault basis) ધોરણે આપવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિત લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો...' સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

SC about COVID vaccine side-effects: સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર 'નો-ફોલ્ટ'(no-fault basis) ધોરણે આપવું જોઈએ. 

આ વાતને ભૂલની કબૂલાત તરીકે ના લો

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી વખતે 10 માર્ચના રોજ કેન્દ્રને નિર્દેશ કર્યો હતો કે, 'ભારત સરકાર કોવિડ-19 વેક્સિનેશન પછીની ગંભીર આડઅસરો માટે 'નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી' ઘડે. આ પ્રકારની વળતર યોજનાની શરૂઆતને સરકારે 'કોઈ ભૂલની કબૂલાત' તરીકે ના જોવી જોઈએ. 'નો-ફોલ્ટ' ફ્રેમવર્કનો અર્થ એ નથી કે સરકાર પોતાની ભૂલ કે કાયદાકીય જવાબદારી સ્વીકારી રહી છે.'

બે મૃતક યુવતીના પરિવારની અરજી

સુપ્રીમ કોર્ટ બે યુવતીના માતા-પિતા દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમનું મૃત્યુ કોવિડ વેક્સિનની આડઅસરને કારણે થયું હતું. આ અરજીમાં મૃત્યુની સ્વતંત્ર તપાસ, ઓટોપ્સી રિપોર્ટની સમયસર રજૂઆત અને આર્થિક વળતરની સાથે આડઅસરોની વહેલી ઓળખ માટે ગાઇડલાઇન્સ બનાવવાની માંગ કરાઈ હતી.

નિષ્ણાત સમિતિ અંગે કોર્ટનો નિર્ણય

આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે વેક્સિનની આડઅસર તપાસવા માટે કોઈ નિષ્ણાતોની નવી સમિતિ બનાવવાની જરૂર નથી કારણ કે, હાલની વૈજ્ઞાનિક મૂલ્યાંકન પદ્ધતિઓ પૂરતી છે. વધુમાં, આ ચુકાદો અન્ય પ્રતિકૂળ અસર પામેલી વ્યક્તિને તેમના વ્યક્તિગત કાયદાકીય ઉપાયો(legal remedies) શોધતા અટકાવશે નહીં.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધને પગલે દેશમાં 'જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો' લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

કેરળ હાઇકોર્ટનો અગાઉનો ચુકાદો

કેરળ હાઇકોર્ટે સપ્ટેમ્બર 2022માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીને વેક્સિનના કારણે થતાં મૃત્યુ માટે વળતરની ગાઇડલાઇન્સ બનાવવા કહ્યું હતું. આ કેસમાં એક મહિલાએ તેના પતિના મૃત્યુ બદલ વળતર માંગ્યું હતું. કેન્દ્ર સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેને ત્યારબાદ અન્ય અરજીઓ સાથે જોડવામાં આવ્યો છે. 

તો પછી કેન્દ્ર સરકારની દલીલો શું છે? 

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે માત્ર કોવિડ-19ને મહામારી જાહેર કરાઈ છે. વેક્સિનની અસરોને નહીં. તેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ હેઠળ વળતરની કોઈ જોગવાઈ નથી. સરકારે એમ પણ જણાવ્યું કે રસીકરણ માટેના મેડિકલ પ્રોટોકોલ વૈશ્વિક સ્તરના છે, જે ઍડવર્સ ઈફેક્ટ ફોલોઇંગ ઈમ્યુનાઇઝેશન (AEFI) એટલે કે આડઅસરની વહેલી ઓળખ અને સારવારની ખાતરી કરે છે.