Get The App

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી 'ઇશ્ક કરો પાર્ટી', CJPના અભિજિત દીપકેને બેવકૂફ ગણાવ્યા

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
Markandey Katju Ishq Karo Party

Markandey Katju Ishq Karo Party: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ એક અનોખો રાજકીય પ્રયોગ કરતા 'ઇશ્ક કરો પાર્ટી' (IKP) નામે એક નવો રાજકીય પક્ષ શરૂ કરવાની જાહેરાત કરી છે. જસ્ટિસ કાત્જુએ જણાવ્યું છે કે આ પક્ષના માધ્યમથી દેશમાં પ્રવર્તતી ગરીબી, ભૂખમરો, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યની નબળી સ્થિતિ જેવા ગંભીર અને પાયાના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. આ નવી પાર્ટીની જાહેરાત સાથે જ તેમણે હોદ્દેદારોની નિમણૂક પણ કરી દીધી છે અને પોતે આ પક્ષના સંરક્ષક તરીકે રહેશે.

સીજેપી (CJP) આંદોલન પર નિશાન અને નવી શરૂઆત

જસ્ટિસ કાત્જુએ દેશમાં ચાલી રહેલા 'સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ' (CJP)ના આંદોલન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'સીજેપીના ફોલોઅર્સે ત્યાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં અને નવી બનેલી 'ઇશ્ક કરો પાર્ટી'માં જોડાઈ જવું જોઈએ. ટૂંક સમયમાં જ આ પક્ષની સત્તાવાર વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શરૂ કરવામાં આવશે. પાર્ટીમાં જોડાવા અને સભ્યપદ મેળવવા માટે એક સત્તાવાર મેઇલ આઇડી પણ જાહેર કર્યું છે.' આ દરમિયાન તેમણે ઉર્દુ ભાષામાં ઈશ્ક શબ્દને સમજાવતી લાંબી પોસ્ટ પણ મૂકી છે. 

માર્કન્ડેય કાત્જુએ જાહેર કર્યો ઈશ્ક કરો પાર્ટીનો હેતુ

ઈશ્ક કરો પાર્ટીનો હેતુ સમજાવવા પણ તેમણે એક લાંબી પોસ્ટ મૂકી છે. તેમાં કહેવાયું છે કે, કેટલાક લોકોને કદાચ લાગતું હશે કે ઈશ્ક કરો પાર્ટીની સ્થાપના એક મજાક છે, છોકરા-છોકરીઓ વચ્ચે રોમાન્સને પ્રોત્સાહન આપવા માટેનો એક વેલેન્ટાઇન્સ ડે જેવો પ્રકાર છે. પરંતુ આ એક સંપૂર્ણ ગેરસમજ છે.

હકીકતમાં, ભારત સામે રહેલી પ્રચંડ સમસ્યાઓનો સામનો કરવા માટેનો આ એક ખૂબ જ ગંભીર પ્રયાસ છે. આજે ભારતમાં વ્યાપક ગરીબી, ભારે બેરોજગારી, બાળ કુપોષણનું ભયજનક સ્તર (ગ્લોબલ હંગર ઇન્ડેક્સ અનુસાર, ભારતમાં દર બીજું બાળક કુપોષિત છે, અને તાજેતરના વર્ષોમાં આ સ્થિતિ વધુ ખરાબ થઈ છે), સામાન્ય જનતા માટે યોગ્ય સ્વાસ્થ્ય સંભાળ અને સારા શિક્ષણનો લગભગ સંપૂર્ણ અભાવ, આવશ્યક ચીજવસ્તુઓના આસમાને પહોંચતા ભાવો, જ્ઞાતિ અને કોમી વૈમનસ્ય વગેરે જેવી સમસ્યાઓ છે.

જ્યાં સુધી આપણામાં એકતા નહીં હોય ત્યાં સુધી આપણે આ પ્રચંડ સમસ્યાઓનો ક્યારેય ઉકેલ લાવી શકીએ નહીં. કડવું સત્ય એ છે કે આજે આપણે જ્ઞાતિ, સંપ્રદાય અને વંશીય રેખાઓ પર વહેંચાયેલા છીએ, જેને આપણા સ્વાર્થી રાજકારણીઓ દ્વારા પ્રોત્સાહન અપાય છે, જેઓ માત્ર સત્તા અને સંપત્તિ ઈચ્છે છે, અને તેમની વોટ બેંક માટે લોકોના કલ્યાણની સાચી પરવા કરતા નથી.

ઈશ્ક કરો પાર્ટીનો હેતુ આ દૂષણ સામે લડવાનો અને આપણા લોકોની એકતાને પ્રોત્સાહન આપવાનો છે. જ્ઞાતિ, ધર્મ, વંશ વગેરેનો ભેદભાવ રાખ્યા વિના તમામ લોકો પ્રત્યે આપણને પ્રેમ (ઇશ્ક) હોવો જોઈએ. તો જ આપણે આપણા લોકોને તેમની ભયાનક પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે, આધુનિક વિચારધારા ધરાવતા નેતાઓની આગેવાની હેઠળ એક શક્તિશાળી જન સંઘર્ષ લડી શકીશું.

ઈશ્ક કરો પાર્ટી આ ઉમદા કાર્યમાં ભારતીય લોકોને માર્ગદર્શન આપશે. આ જ તેનો હેતુ છે.

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને ગણાવી મૂર્ખામી

પેપર લીક અને પરીક્ષાઓની ગેરરીતિને લઈને સીજેપીના નેતા અભિજીત દીપકે દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, જેના પર જસ્ટિસ કાત્જુએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, 'અભિજીત દીપકેની આ મુખ્ય માંગ તદ્દન મૂર્ખામીભરી છે. જો શિક્ષણ મંત્રી રાજીનામું આપી પણ દેશે, તો તેમની જગ્યાએ કોઈ બીજો મંત્રી આવી જશે, તેનાથી આખી વ્યવસ્થામાં શું ફરક પડી જવાનો છે?'

44 વર્ષની ઉંમર બાદ પક્ષમાં એન્ટ્રી અને હોદ્દાની ઓફર

પક્ષના માળખા અંગે સ્પષ્ટતા કરતા જસ્ટિસ કાત્જુએ જણાવ્યું કે, 44 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકો 'ઇશ્ક કરો પાર્ટી'માં જોડાઈ શકે છે. તેમણે લોકોને અપીલ કરી છે કે આ માટે પક્ષના અધ્યક્ષ ઈરફાન અલીનો સંપર્ક કરવામાં આવે. જો લોકો પક્ષની વિચારધારા સાથે સહમત થશે, તો તેમને પક્ષના ઉપાધ્યક્ષોમાંથી એક બનાવવામાં આવશે. આ પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય આક્ષેપબાજીથી દૂર રહીને દેશની મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

આ પણ વાંચો: 'મમતા બેનરજી અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો...', દિગ્ગજ નેતાનો દાવો

પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર સીજેપીનો વિરોધ

બીજી તરફ, સીજેપીના નેતા અભિજીત દીપકેએ શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક અને CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ વ્યવસ્થાની ખામીઓ વિરુદ્ધ એક મોટું પ્રદર્શન કર્યું હતું. તેમણે રવિવારે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ રોકવાની જવાબદારી પીએમ મોદીની છે. તેમણે કટાક્ષ કર્યો કે જો પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકાવી શકતા હોય, તો દેશમાં પ્રશ્નપત્રો લીક થતા કેમ રોકી શકતા નથી? દીપકેએ ચીમકી આપી છે કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.