India

ભારત, બ્રાઝિલ સહિત અનેક દેશોમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે! જે.પી. મોર્ગનની ડરામણી ભવિષ્યવાણી

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
જેપી મોર્ગને 2027માં વૈશ્વિક અન્ન સંકટની ગંભીર ચેતવણી આપી છે. ભૂ-રાજકીય તણાવ, ખાતરની અછત અને આબોહવા પરિવર્તન મુખ્ય કારણો છે. ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા પર સૌથી વધુ અસર થશે. કૃષિ ખર્ચ વધશે અને પાક ઉત્પાદન ઘટશે. વૈશ્વિક ફુગાવો 5% સુધી પહોંચવાની શક્યતા છે. અલ નીનોની અસરથી પરિસ્થિતિ વધુ વણસશે, જે ખેડૂતો માટે મોટો પડકાર બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત, બ્રાઝિલ સહિત અનેક દેશોમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે! જે.પી. મોર્ગનની ડરામણી ભવિષ્યવાણી

Global Food Crisis : દુનિયા પર એક મોટું અને ભયંકર સંકટ તોળાઈ રહ્યું છે. પ્રખ્યાત ગ્લોબલ ફાઇનાન્સિયલ સંસ્થા જેપી મોર્ગન દ્વારા એક મોટી અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે, જે મુજબ આવતા વર્ષે એટલે કે 2027માં દુનિયાએ એક મોટા અને વિનાશક ખાદ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં આ સંકટ પાછળ કેટલાક મોટા કારણો દર્શાવવામાં આવ્યા છે અને એલર્ટ કરવામાં આવ્યું છે કે ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પર આ સંકટની સૌથી ઘાતક અને ગંભીર અસરો જોવા મળશે.

ગ્લોબલ વોર્મિંગ સહિત અનેક પરિબળ

જેપી મોર્ગને (JP Morgan) આગામી સમયમાં વૈશ્વિક અન્ન સંકટ (અંગે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર, જિયો-પોલિટિકલ તણાવ, ખાતરની અછત અને આબોહવા પરિવર્તનના કારણે 2027 માં વિશ્વએ અન્ન પુરવઠાના એક નવા અને મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સંકટની સૌથી વધુ અને ગંભીર અસર ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા પર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કૃષિ ખર્ચમાં સતત થઈ રહેલો વધારો અને પાક ઉત્પાદનમાં ઘટાડો આ વૈશ્વિક સંકટને વધુ ઘેરૂ બનાવશે.

મોંઘવારીના આંકડાઓ પહોંચશે ભયજનક સપાટીએ

આ ગ્લોબલ ફૂડ ક્રાઇસિસના કારણે દુનિયાભરમાં મોંઘવારીનો આંકડો ભયજનક સપાટીએ પહોંચી શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, 2027 ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક મોંઘવારી વધીને લગભગ 5% સુધી પહોંચી શકે છે, જે વર્ષ 2026 ના સમાન સમયગાળામાં માત્ર 2.8% હતી. અહેવાલ મુજબ, આ ચેતવણી માત્ર અચાનક અનાજ ખૂટી પડવા વિશે નથી, પરંતુ ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો અને હવામાનમાં આવતા બદલાવના કારણે પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. જો આ ચેતવણી સાચી પડશે તો વિકાસશીલ દેશોમાં પરિવારોને તેમની આવકનો મોટો હિસ્સો માત્ર ભોજન પાછળ જ ખર્ચ કરવો પડશે.

ખાતરની અછત ભજવશે સૌથી મહત્ત્વનો ભાગ

આ સંકટ પાછળ ખાતરની અછત એક અત્યંત મહત્ત્વનું કારણ છે. મિડલ ઈસ્ટ વૈશ્વિક યુરિયા નિકાસમાં 42% અને એમોનિયા નિકાસમાં 27% હિસ્સો ધરાવે છે. હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના તણાવ અને નેચરલ ગેસના વધતા ભાવે સપ્લાય ચેનને ખરાબ રીતે ખોરવી નાખી છે. નિષ્ણાતોએ આ ખતરાને એક ચાર્ટ દ્વારા દર્શાવ્યો છે: યુદ્ધ થી ઉર્જા સંકટ, ત્યારબાદ ખાતરની અછત, કૃષિ ખર્ચમાં વધારો, ઓછું ઉત્પાદન અને અંતે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો. આ ખોરવાયેલી સિસ્ટમ અને ઉત્પાદનને ફરીથી પૂર્વવત કરવામાં 1 થી 4 વર્ષનો લાંબો સમય લાગી શકે છે.

અલ નીનોની અસરથી બગડશે સમગ્ર ખેલ

ખાતરની અછત ઉપરાંત આબોહવા પરિવર્તન એટલે કે અલ નીનો (El Nino) પણ આ ખતરા માટે મોટો વિલન સાબિત થશે. અલ નીનોના કારણે દુષ્કાળ, પૂર અને અન્ય પ્રતિકૂળ મૌસમી ઘટનાઓનું જોખમ વધી શકે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો, અલ નીનોના કારણે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં પાક ઉત્પાદનમાં સરેરાશ 3.5% નો ઘટાડો નોંધાયો છે. સુપર અલ નીનો વૈશ્વિક ખાદ્ય મોંઘવારીમાં લગભગ 0.7% નો વધારો કરી શકે છે અને ઉર્જાના ભાવ વધારા સાથે મળીને આ અસર 1.3% થી 1.5% સુધી પહોંચી શકે છે.

ભારતની ખેતી અને અર્થતંત્ર પર પડશે સીધી અસર

ભારતમાં નબળા કે અનિયમિત ચોમાસાની સીધી અસર ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ અને શેરડી જેવા વરસાદ પર આધારિત પાકો પર પડી શકે છે. જેપી મોર્ગન અનુસાર, ભારત સામે માત્ર અનાજના પૂરતા જથ્થાનો જ પ્રશ્ન નથી, પરંતુ ખાતર અને ઉર્જા બજારની ભારે અસ્થિરતા વચ્ચે ખેડૂતો માટે પોસાય તેવા ખર્ચે ઉત્પાદન જાળવી રાખવું એ એક મોટો પડકાર બની રહેશે. ખેતરોમાં ઓછું ઉત્પાદન થવાથી સ્થાનિક પુરવઠો ઘટશે અને અંતે છૂટક મોંઘવારીમાં ભારે વધારો નોંધાશે.