Get The App

મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો 1 - image

Manoj Tiwary TMC Allegations : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. બંગાળમાં TMCની કારમી હાર થયા બાદ તિવારીએ દાવો કર્યો છે કે, ટીએમસીની અનેક ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે મમતા બેનરજીને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપ્યા છે. તિવારીને પણ પાંચ કરોડ રૂપિયા આપવા બદલ ટિકિટ આપવાની ઓફર કરાઈ હતી, જોકે ક્રિકેટરે નાણાં આપવાનો ઈન્કાર કરી દીધો છે.

ઉમેદવારોએ ટિકિટ માટે TMCને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપ્યા : તિવારીનો દાવો

TMC છોડ્યા બાદ મનોજ તિવારીએ આક્ષેપ કર્યો કે, ‘તૃણમૂલ કોંગ્રેસે મને હાવડાની શિબપુર બેઠક પરની ટિકિટ ન આપી, કારણ કે મેં પાંચ કરોડ રૂપિયાનો ઈન્કાર કરી દીધો હતો. માત્ર મોટી રકમ આપનારાઓ જ ટીએમસીની ટિકિટ ખરીદી શક્યા છે. આ વખતે ઓછામાં ઓછા 70થી 72 ઉમેદવારોએ ટિકિટ માટે લગભગ પાંચ કરોડ રૂપિયા આપ્યા છે. મારી પાસે પણ નાણાં મંગાયા હતા, જોકે મેં આપવાનો ઈન્કાર કર્યો હતો. એ તો જુઓ કે, જે લોકોએ પૈસા આપ્યા, તેમાંથી કેટલાક લોક ચૂંટણી જીતી શક્યા છે.’

આ પણ વાંચો : બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો

‘ટીએમસી સંપૂર્ણ ખતમ થઈ ગઈ’

મનોજ તિવારીએ વધુમાં કહ્યું કે, ‘હવે મારા માટે ટીએમસી સંપૂર્ણ ખતમ થઈ ગઈ છે.’ તેમણે કહ્યું કે, તેમનો રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો ન હતો. ભલે તૃણમૂલ કોંગ્રેસે તેમનો લોકસભા ચૂંટણી-2019માં ટિકિટની ઓફર કરી હતી. આખરે તિવારીએ વિધાનસભા ચૂંટણી-2021માં જંપ લાવ્યું હતું અને શિબપુરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.

મનોજ મમતા સરકારમાં રમત-ગમત રાજ્ય મંત્રી હતા

તેમણે કહ્યું કે, ‘તે સમયે હું આઈપીએલમાં પંજાબ માટે રમતો હતો અને મારી રણજી ટ્રોફી રમવાની ગંભીર ઈચ્છા હતી. જોકે દીદી ઈચ્છતા હતા કે, હું લોકસભામાં ચૂંટણી લડું. મેં નમ્રતાથી ઈન્કાર કર્યો હતો, જોકે 2021ની ચૂંટણી પહેલા દીદીએ મને ફરી બોલાવ્યો અને મને શિબપુરથી ચૂંટણી લડવા કહ્યું હતું. ત્યારે મેં વિચાર્યું કે, હું કંઈક સાર્થક બદલાવ લાવી શકું છું. ઉલ્લેખનીય છે કે, મનોજ તિવારી મમતા બેનરજીની સરકારમાં રમત-ગમત રાજ્ય મંત્રી હતા.

આ પણ વાંચો : મમતા બેનરજીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ