India

સંસદમાં સમીકરણો બદલાશે! બળવાખોર 26 સાંસદોને લોકસભા સ્પીકરે આપી મંજૂરી, ઉદ્ધવ-મમતાને મોટો ઝટકો

By GS Team
18 Jul 20263 mins read
TukuTouch Logo
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શિવસેના (UBT)ના 6 સાંસદોના શિંદે જૂથમાં વિલયને મંજૂરી આપી છે. સાથે જ, TMCથી અલગ થઈને NCPIમાં જોડાયેલા 20 સાંસદોને પણ લોકસભામાં અલગ બેસવાની માન્યતા મળી છે. સંસદીય મંત્રી કિરેન રિજિજુએ આ 20 સાંસદોને 19 જુલાઈએ યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ આપ્યું છે. આ બેઠક 20 જુલાઈથી શરૂ થતા ચોમાસુ સત્ર પહેલા યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંસદમાં સમીકરણો બદલાશે! બળવાખોર 26 સાંસદોને લોકસભા સ્પીકરે આપી મંજૂરી, ઉદ્ધવ-મમતાને મોટો ઝટકો

Lok Sabha Speaker Approves Mergers : લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શિવસેના (UBT)ના 6 સાંસદોના શિવસેના (શિંદે) જૂથમાં વિલયને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ TMCથી અલગ થઈને NCPIમાં સામેલ થયેલા 20 સાંસદોને પણ લોકસભામાં અલગ બેસવાની માન્યતા મળી ગઈ છે. બીજી તરફ, સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session) પહેલા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતા અને સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને અન્ય 19 લોકસભા સાંસદોને રવિવારના રોજ યોજાનારી સર્વદળીય બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની હાર બાદ, TMCના બળવાખોર 20 સાંસદો નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં સામેલ થઈ ગયા છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને આ વિલયને સત્તાવાર માન્યતા આપવાની માંગ કરી હતી.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં જ તમે અન્ય 19 સાંસદો સાથે NCPIમાં જોડાયા છો, અને લોકસભા સ્પીકર પાસે અલગ ઓળખ માટે વિનંતી કરી છે, જે હાલ વિચારાધીન છે. આગામી ચોમાસુ સત્રમાં ગૃહ સમક્ષ આવનારા મહત્વના મુદ્દાઓ અને કાયદાકીય કામો પર ચર્ચા કરવા માટે લોકસભા અને રાજ્યસભાના રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સની બેઠકમાં તમને આમંત્રિત કરતા મને આનંદ થાય છે. સંસદના બંને ગૃહોની કામગીરી સુચારૂ રૂપે ચાલે તે માટે હું તમારા સહકારની અપેક્ષા રાખું છું.

19 જુલાઈના રોજ યોજાશે સર્વદળીય બેઠક

આ સર્વદળીય બેઠક 19 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના મેઈન કમિટી રૂમમાં યોજાશે. રિજિજુએ સુદીપ બંદોપાધ્યાય અને NCPIના ચીફ વ્હીપ તરીકે નોમિનેટ થયેલા ડો. કાકોલી ઘોષ દસ્તીદારને પણ આ બેઠકમાં હાજર રહેવા વિનંતી કરી છે. આ બેઠક 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રના ઠીક એક દિવસ પહેલા યોજાઈ રહી છે. આ સત્ર દરમિયાન સરકાર પોતાના કાયદાકીય કામો વિશે માહિતી આપશે, જ્યારે વિપક્ષી પક્ષો ગૃહમાં જે ખાસ મુદ્દાઓ ઉઠાવવા માંગે છે, તેની રજૂઆત કરશે.

અગાઉ કિરેન રિજિજુએ જાહેરાત કરી હતી કે, સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગષ્ટ સુધી ચાલશે. તેમણે એક્સ (X) પર લખ્યું હતું કે, ભારત સરકારની ભલામણ પર માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચોમાસુ સત્ર 2026 માટે સંસદના બંને ગૃહો બોલાવવાની મંજૂરી આપી દીધી છે.

TMC અને શિવસેના (UBT)માં મોટું ભંગાણ

તાજેતરમાં જ વિપક્ષના ઘણા પક્ષોમાં મોટા ભંગાણ જોવા મળ્યા છે, જેના કારણે આ સત્રમાં ભારે હોબાળો થવાની શક્યતા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં તે સમયથી ભારે ઉથલપાથલ મચી છે, જ્યારે તેના 20 લોકસભા સાંસદો નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં ભળી ગયા. આ સિવાય TMCના 3 રાજ્યસભા સાંસદોએ પણ રાજીનામું આપીને ભાજપ જોઈન કરી લીધું છે. બીજી તરફ, શિવસેના (UBT)માં પણ મોટું ભંગાણ પડ્યું છે, જેમાં તેના 6 લોકસભા સાંસદો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સામેલ થઈ ગયા છે.

આ પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના 7 રાજ્યસભા સાંસદો પણ ભાજપમાં જોડાયા હતા. આગામી સત્રમાં વિપક્ષ દ્વારા NEET-UG પેપર લીક અને ઓપરેશન સિંદૂર જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. કોંગ્રેસે અગાઉથી જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપેલી છે. આ બધાની વચ્ચે સરકાર આ સત્ર દરમિયાન કેટલાક મહત્વના બિલ રજૂ કરવા અને પસાર કરાવવાની તૈયારી કરી રહી છે.