India

તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ: AIADMKમાં ભંગાણના એંધાણ, દિગ્ગજો 'TVK'માં જોડાશે

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
તામિલનાડુમાં AIADMKને મોટો ઝટકો લાગ્યો છે. 2 જુલાઈએ મહાબલીપુરમના રિસોર્ટમાં 5 પૂર્વ મંત્રીઓ અને 15 પૂર્વ ધારાસભ્યો સહિત સેંકડો કાર્યકરો અભિનેતા વિજયની પાર્ટી 'તમિલગા વેતરી કઝગમ' (TVK) માં જોડાશે. પલનીસ્વામીના નેતૃત્વ સામે આક્રોશને કારણે કરૂર અને પુદુક્કોટ્ટઈમાં AIADMK ખાલી થઈ રહી છે. આ પક્ષપલટો રાજ્યના રાજકીય સમીકરણો બદલશે અને TVK મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ: AIADMKમાં ભંગાણના એંધાણ, દિગ્ગજો 'TVK'માં જોડાશે

Tamilandu Politics : તમિલનાડુના પ્રાદેશિક રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પક્ષને ખૂબ જ મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. પક્ષના અગ્રણી નેતાઓ અને પૂર્વ મંત્રીઓ હવે અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયની રાજકીય પાર્ટી 'તમિલગા વેતરી કઝગમ' (TVK) નો હાથ પકડવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે. આ પક્ષપલટાને કારણે રાજ્યના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

રિસોર્ટ પોલિટિક્સ: મહાબલીપુરમમાં યોજાશે ભવ્ય પક્ષપલટો

મળતી માહિતી મુજબ, 2 જુલાઈના રોજ મહાબલીપુરમના એક આલીશાન રિસોર્ટમાં આ વિધિવત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં AIADMKના માત્ર એક-બે નહીં, પરંતુ ઓછામાં ઓછા 5 પૂર્વ મંત્રીઓ અને 15 પૂર્વ ધારાસભ્યો સહિત સેંકડો સક્રિય કાર્યકરો સત્તાવાર રીતે TVK પક્ષનું સદસ્યપદ ગ્રહણ કરશે. આ ઘટનાક્રમને પગલે વિજયની પાર્ટી તમિલનાડુમાં એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી શકે છે.

પક્ષ છોડનારા મોટા ચહેરા: કરૂર અને પુદુક્કોટ્ટઈમાં AIADMK ખાલી થશે

જે દિગ્ગજ નેતાઓના નામ TVKમાં સામેલ થવા માટે ચર્ચામાં છે, તેમાં પૂર્વ મંત્રી સી. વિજય ભાસ્કર, એમ.આર. વિજય ભાસ્કર, એમ એસ એમ આનંદન અને એસ. વલારમથી જેવા અતિ મહત્વના ચહેરાઓનો સમાવેશ થાય છે. આ સિવાય કરૂર અને પુદુક્કોટ્ટઈ જિલ્લાના AIADMKના સ્થાનિક સંગઠનના અસંખ્ય પદાધિકારીઓ પણ પક્ષને અલવિદા કહી રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક મોટા રાજકીય ઘટનાક્રમમાં એમ.કે. અલાગિરીની પુત્રી કયાલવિઝી પણ મલ્લાપુરમ ખાતે વિજયની પાર્ટીમાં સત્તાવાર રીતે સામેલ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

પલનીસ્વામીના નેતૃત્વ સામે આક્રોશ: 'આંસુઓ સાથે પક્ષને અલવિદા'

AIADMKની આ અંદરની ખેંચતાણ વિધાનસભા ચૂંટણી બાદથી જ ચાલતી હતી, જે હવે સપાટી પર આવી ગઈ છે. હાલમાં જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા પૂર્વ મંત્રી એમ.આર. વિજયભાસ્કરે પક્ષના વડા પલનીસ્વામી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે, અમે પલનીસ્વામીને પક્ષના કાયમી જનરલ સેક્રેટરી બનાવવા માટે અમારી પૂરી તાકાત લગાવી દીધી હતી. પરંતુ નેતૃત્વ દ્વારા લેવાયેલા કેટલાક એવા નિર્ણયો, જેમાં સામાન્ય કાર્યકરોની લાગણીઓને નજરઅંદાજ કરવામાં આવી, તેના કારણે આજે આખો પક્ષ સંકટમાં મુકાયો છે. તેમણે ભારે હૈયે અને આંસુઓ સાથે પક્ષ છોડવાની જાહેરાત કરી હતી.

ભવિષ્યની રાજકીય લડાઈ: TVK માટે સોનેરી તક, AIADMK માટે અસ્તિત્વની લડાઈ

તાજેતરમાં જ સી. વિજયભાસ્કરે પણ વિધાનસભા અને પક્ષ બંને છોડી દીધા હતા, જેને કારણે AIADMK નબળી પડી રહી હોવાના સંકેતો મળતા જ હતા. આ મોટો ફેરફાર આગામી સમયમાં થનારી રાજકીય લડાઈઓ માટે TVKના વિસ્તરણની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. વિજયની પાર્ટી હવે રાજ્યના ખૂણે-ખૂણે પોતાનો પ્રભાવ વધારવા સક્ષમ બનશે, જ્યારે બીજી તરફ AIADMK માટે પોતાના બાકી રહેલા ગઢ અને કાર્યકરોને સાચવી રાખવા એ એક મોટો પડકાર બની રહેશે.