ધોરણ 9માં 3 ભાષાની નીતિ ફરજિયાત ન કરવી: સુપ્રીમ કોર્ટમાં CBSEની પોલિસી વિરુદ્ધ અરજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBSE Three Language Policy : સીબીએસઈના ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષા નીતિ ફરજિયાત કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતા વાળી પીઠ સમક્ષ અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે આ મામલે ઝડપથી સુનાવણી કરવાની માંગ કરી હતી. વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસ બુધવારે સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી હટાવી દેવાયો હતો. તેમણે કહ્યું કે આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવી ભાષા ભણવા મજબૂર છે જેના માટે તેમની શાળાઓમાં પૂરતી વ્યવસ્થા નથી.
વકીલે શું દલીલ કરી?
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે કોર્ટને જણાવ્યું હતું કે, ઘણા બાળકોને તે ભાષા નથી ભણાવવામાં આવી રહી જે તેમણે પસંદ કરી હતી. બાળકો માટે પુસ્તકો અને શિક્ષકો પણ ઉપલબ્ધ નથી. આ વ્યવસ્થા ધોરણ 5-8 અને ધોરણ 8-10 માટે છે. વિદ્યાર્થીઓ કોઈપણ શિક્ષક કે પુસ્તકો વિના ક્લાસરૂમમાં બેસી રહ્યા છે.
‘બંગાળમાં વિકલ્પો પણ શિક્ષકો નથી’
તેમણે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોલકાતામાં હિન્દી, બંગાળી અને સંસ્કૃતના વિકલ્પો છે, પરંતુ તેમની પાસે સંસ્કૃત કે હિન્દીના શિક્ષકો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આ ફોર્મ્યુલા 2030 માં લાગુ થવાનો હતો, જે હેઠળ ભાષા પસંદગી માટે 22 ભાષાઓનો વિકલ્પ આપવો જરૂરી છે, પરંતુ મોટાભાગની શાળાઓમાં આ વિકલ્પો નથી. આના પર જસ્ટિસ બાગચીએ કહ્યું કે, ભાષા પસંદ કરવાનો વિકલ્પ ધોરણ 6માં હોવો જોઈએ અને તે વિકલ્પો પણ એવા હોવા જોઈએ જે ખરેખર શક્ય હોય.
કોર્ટ સમક્ષ કરાઈ આ અપીલ
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યું, 'કોર્ટને અમારી વિનંતી છે કે ધોરણ 9 માટે જે થ્રી લેંગ્વેજ પોલિસીનું ફરજિયાતપણું છે તેને હટાવી દેવામાં આવે, કારણ કે ધોરણ 9માં આવતા બાળકો પર બોર્ડનું વધારાનું દબાણ હોય છે.' હાલમાં CJIએ આશ્વાસન આપ્યું છે કે આવતીકાલે આ મામલાને સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી શકે છે.









