India

Delhi Elections Result: PM મોદીનો એ છેલ્લો 'માસ્ટરસ્ટ્રોક' જેણે બગાડ્યો કેજરીવાલનો ખેલ

By GS Team
8 Feb 20252 mins read
This article was originally published on 8 Feb 2025
TukuTouch Logo
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં ભાજપ ગ્રાઉન્ડ લેવલે કામ કરીને 27 વર્ષ બાદ ફરી સરકાર બનાવશે, જ્યારે આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ કોંગ્રેસ તો પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Elections Result: PM મોદીનો એ છેલ્લો 'માસ્ટરસ્ટ્રોક' જેણે બગાડ્યો કેજરીવાલનો ખેલ

Delhi Elections Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં ભાજપ ગ્રાઉન્ડ લેવલે કામ કરીને 27 વર્ષ બાદ ફરી સરકાર બનાવશે, જ્યારે આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ કોંગ્રેસ તો પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. 

દિલ્હીમાં ભાજપે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું 

દિલ્હીમાં 11 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર 3182 મતોથી હારી ગયા છે. આ બેઠક પર ભાજપના પરવેશ વર્માની જીત થઈ છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કાલકાજી બેઠક પરથી રમેશ બિધૂડીને હરાવીને ભારે રસાકસી બાદ અંતે જીત મેળવી છે. એવામાં દિલ્હીમાં ભાજપની જંગી લીડ પાછળનું કારણ પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક હોવાનું માનવામાં આવે છે. જેણે છેલ્લે બાજી પલટી નાખી. 

ઇન્કમટેક્સમાં છૂટનો મુદ્દો ઉઠાવ્યો 

પીએમ મોદીનો એ માસ્ટરસ્ટ્રોક એટલે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલું બજેટ. આ બજેટમાં રૂ. 12 લાખ સુધીનો પગાર ધરાવતાં લોકોને આવકવેરામાં છૂટ આપવામાં આવી હતી. દિલ્હી ચૂંટણીમાં મતદાન પહેલા જ કેન્દ્ર સરકારે આ ભેટ લોકોને આપી હતી.

બજેટની આ જાહેરાત મધ્યમ વર્ગને સીધી અસર કરે છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હી ચૂંટણી માટે આયોજિત જાહેર સભામાં ઇન્કમટેક્સમાં છૂટનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો અને ભાજપને મધ્યમ વર્ગના લોકોની પાર્ટી ગણાવી હતી. 

દિલ્હીમાં મધ્યમ વર્ગને આકર્ષવામાં આવ્યો  

દિલ્હીની રાજનીતિમાં મધ્યમ વર્ગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દિલ્હીની વસ્તીમાં પણ તેનો 45% હિસ્સો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ બંને દિલ્હીના મધ્યમ વર્ગના મહત્ત્વને સારી રીતે સમજે છે. આ જ કારણ હતું કે બંને પક્ષોએ મધ્યમ વર્ગ માટે શ્રેણીબદ્ધ વચનો આપ્યા હતા. 

બીજી તરફ, અરવિંજ કેજરીવાલની મહિલા સન્માન યોજનાના કાઉન્ટર તરીકે, ભાજપે મહિલાઓને દર મહિને રૂ. 2500 આપવાની જાહેરાત કરી, જેનાથી વધુ લોકો ભાજપ તરફ આકર્ષાયા. પીએમ મોદીએ જનસભામાં તો ત્યાં સુધી કહ્યું કે 8 માર્ચ પછી મહિલાઓને પૈસા મળવા લાગશે. આ દરમિયાન, ઇન્કમટેક્સમાં છૂટ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી દિલ્હીના મધ્યમ વર્ગને વધુ અસર થઈ, જેની સીધી અસર મતો પર પડી.