Supreme Court Rules on Contract Workers' Rights: સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાર(કોન્ટ્રાક્ટ) પર રાખવામાં આવેલા કર્મચારીઓ સરકારી વિભાગો કે સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ સાથે સમાનતાનો દાવો કરી શકે નહીં.
સરકારી નોકરી: એક 'જાહેર સંપત્તિ'
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે અવલોકન કરતા જણાવ્યું કે, સરકારી નોકરી એ એક 'જાહેર સંપત્તિ' છે અને તેના પર દેશના દરેક લાયક નાગરિકનો સમાન અધિકાર છે. અદાલતે ભારપૂર્વક કહ્યું કે, નિયમિત નિમણૂક એક પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે જેમાં તમામ લાયક ઉમેદવારોને તક મળે છે, જ્યારે કોન્ટ્રાક્ટ પરની ભરતી એજન્સીની મરજી પર નિર્ભર હોય છે. આથી, કાયદાની નજરમાં આ બંને શ્રેણીઓ સંપૂર્ણપણે અલગ છે.
પગાર અને ભથ્થામાં સમાનતાનો ઈનકાર
આંધ્રપ્રદેશ હાઈકોર્ટે વર્ષ 2018માં નંદયાલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કામદારોને નિયમિત કર્મચારીઓ જેવું જ વેતન અને ભથ્થા આપવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો નિયમિત અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેનો તફાવત ખતમ કરી દેવામાં આવે, તો નિમણૂકની વિવિધ પદ્ધતિઓ(જેમ કે કાયમી, કરાર આધારિત કે તદર્થ)નો મૂળ આધાર જ તેની પવિત્રતા ગુમાવી દેશે. કોર્ટે વધુમાં કહ્યું કે નિયમિત ભરતી પ્રક્રિયામાં અનેક સુરક્ષા પાસાઓ હોય છે જેથી પક્ષપાત વગર માત્ર યોગ્યતાના આધારે જ પસંદગી થાય.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી
ભરતીના નિયમોનું ઉલ્લંઘન અસ્વીકાર્ય
ઉલ્લેખનીય છે કે આ વિવાદ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાની નંદયાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ સામે આવ્યો હતો. આ સફાઈ કામદારો 1994થી ત્રીજા પક્ષ એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા કાર્યરત હતા અને સમય જતાં કોન્ટ્રાક્ટરો પણ બદલાતા રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવી આકસ્મિક કે કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થાને કાયમી નોકરીની સમકક્ષ ગણી શકાય નહીં, કારણ કે તેનાથી પારદર્શક સરકારી ભરતી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન થાય છે.



