CM Yogi Adityanath : ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0માં બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાઇકોર્ટની એન્કાઉન્ટર મુદ્દે ફટકાર બાદ સ્પષ્ટ કર્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે 'ઝીરો ટોલરન્સ' દરેક વ્યક્તિ પર લાગુ થશે. જો અમારો પોતાનો માણસ પણ ભૂલ કરશે, તો તેના પર પણ એ જ કાયદો લાગુ થશે જે માફિયા કે ગુનેગારો પર લાગુ થાય છે. અહીં કોઈ પોતાનું કે પારકું નહીં હોય. જ્યારે પણ અમે કાર્યવાહી કરી છે, ત્યારે તેને કાયદાના દાયરામાં રહીને કરવાનો પ્રયાસ કર્યો છે.
સીએમ યોગીએ આગળ કહ્યું કે, પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે સામેની વ્યક્તિ કાયદાથી ડરતી નથી, ત્યારે તેને કાયદાના દાયરામાં લાવીને કાયદાની ભાષામાં સમજાવવી એ તાત્કાલિક પરિસ્થિતિની જરૂરિયાત બની જાય છે. પછી લોકો ટિપ્પણી કરે છે કે, પોલીસે ગોળી કેમ મારી? હવે જો પોલીસ ગોળી ન મારે તો શું ગોળી ખાય? જો ગુનેગાર પાસે ગોળી ચલાવવાની સ્વતંત્રતા છે, તો અમે પોલીસને પિસ્તોલ એટલા માટે જ આપી છે કે તે તેનો સામનો કરી શકે. તેમણે કહ્યું કે, તે (ગુનેગાર) જે ભાષામાં સમજે તેને તે જ ભાષામાં સમજાવવામાં આવે.
‘દરેક નાગરિકમાં વિશ્વાસ જગાડવો જરૂરી’
યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં 2012થી 2017 વચ્ચે 900થી વધુ રમખાણો થયા હતા. એક પણ શહેર એવું નહોતું જ્યાં કર્ફ્યુ ન લાગ્યો હોય. તેમણે કહ્યું કે તે સમયે એવો કોઈ ઉદ્યોગપતિ, ડૉક્ટર કે બિઝનેસમેન નહીં હોય જેણે ‘ગુંડા ટેક્સ’ ન આપ્યો હોય. જ્યારે વડાપ્રધાન અને અમારી પાર્ટીએ મને આ જવાબદારી સોંપી, ત્યારે અમારે આ પડકારનો સામનો કરવાનો હતો અને દરેક નાગરિકમાં વિશ્વાસ જગાડવો હતો.
સીએમએ કહ્યું કે, અમે આ કામ પસંદગીના લોકો પર ન કરી શકીએ, તેથી અમે 'ઝીરો ટોલરન્સ'નો નિર્ણય કર્યો અને તે બધા પર સમાન રીતે લાગુ થશે. જો અમારો પોતાનો કોઈ વ્યક્તિ ખોટું કરશે, તો તેના પર પણ એ જ કાર્યવાહી થશે જે માફિયાઓ પર થાય છે.
પોલીસ ગોળી નહીં ચલાવે તો શું ગોળી ખાશે?
સીએમ યોગીના મતે, "જો પોલીસ ગોળી નહીં ચલાવે, તો શું પોલીસે ગોળી ખાવી જોઈએ? બંને વસ્તુઓ એકસાથે ન થઈ શકે. જો તે ગુનેગારને ગોળી ચલાવવાની આઝાદી છે, તો અમે પોલીસને હથિયાર તેમનો સામનો કરવા માટે આપ્યા છે. જ્યારે તેમની સાથે તેમની જ ભાષામાં વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે જ પરિણામ મળે છે."
યુપી રોકાણકારોની પહેલી પસંદ
યોગીએ વધુમાં ઉમેર્યું કે છેલ્લા 9 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં મોટા સકારાત્મક ફેરફારો થયા છે. હવે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. કોઈ શાંતિ ભંગ કરવાની, અરાજકતા ફેલાવવાની કે ખંડણીની વાત નથી કરતું. કોઈ રમખાણો નથી થતા, કોઈ ગેરરીતિ નથી થતી. આજે આવી સ્થિતિ ક્યાંય નથી અને ઉત્તર પ્રદેશ એક શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન (રોકાણ માટેનું સ્થળ) તરીકે ઊભરી આવ્યું છે.


