Explainer: ‘ચાર ધામ યાત્રા’નું અથથી ઈતિ. જાણી લો, યાત્રાની તારીખોથી નોંધણીની પ્રક્રિયા સુધીની તમામ વિગત
Chardham Yatra 2025 : હિંદુ ધર્મના લોકો માટે ખૂબ મહત્ત્વની ગણાતી પવિત્ર ચાર ધામ યાત્રા દર વર્ષે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે શરૂ થાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલના રોજ હોવાથી એ દિવસથી ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. તો ચાલો, આ યાત્રા માટે નામ નોંધણી કરાવવાથી લઈને કયા મંદિરમાં પ્રવેશ ક્યારથી શરૂ થવા જઈ રહ્યો છે, સમાપનની તારીખો કઈ છે, રુટ કયો લેવાનો થશે, એ તમામ વિગતો અહીં જાણી લઈએ.
કયું ધામ કયા દેવને સમર્પિત?
ચાર ધામ યાત્રા દરમિયાન હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં સ્થિત ચાર પવિત્ર મંદિરોની મુલાકાત લેવાની હોય છે. આ ચાર ધામ છે: યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. યમુનોત્રી દેવી યમુનાને સમર્પિત છે, તો ગંગોત્રી દેવી ગંગાને. કેદારનાથ ભગવાન શિવનું ધામ છે, અને બદ્રીનાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ ચારેય ધામ દેવભૂમિ કહેવાતા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા છે. ચારેય મંદિરમાં ખાસ પ્રકારની આધ્યાત્મિક ઉર્જા હોવાનું કહેવાય છે.
ચાર ધામ યાત્રાના મંદિરોની ખૂલવાની અને બંધ થવાની તારીખો
- ગંગોત્રી - 30 એપ્રિલ થી 22 ઓક્ટોબર
- યમુનોત્રી - 30 એપ્રિલ થી 23 ઓક્ટોબર
- કેદારનાથ - 2 મે થી 23 ઓક્ટોબર
- બદ્રીનાથ - 4 મે થી 6 નવેમ્બર
આમ, ચારેય મંદિરો દર્શન માટે લગભગ 6 મહિના સુધી ખુલ્લા રહેશે.
ચાર ધામ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન પણ કરાવી શકાય છે
1. ઓનલાઈન નોંધણી: નીચે દર્શાવેલી બે પૈકી કોઈપણ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન નોંધણી કરાવી શકાય છે.
https://registrationandtouristcare.uk.gov.in
https://services.india.gov.in.
ચાર ધામ માટે આ દસ્તાવેજો છે જરૂરી
ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સરળ છે. તમારે તમારા ID પ્રૂફ, મોબાઈલ નંબર અને અપેક્ષિત મુસાફરી તારીખો જેવી કેટલીક મૂળભૂત વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે. એકવાર નોંધણી કરાવ્યા પછી તમને યાત્રા ID અને પુષ્ટિકરણ મળશે, જે તમારે તમારી યાત્રા દરમિયાન સાથે રાખવું પડશે.
2. ઓફલાઈન નોંધણી: હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂનમાં લગભગ 60 નોંધણી કેન્દ્રો છે, જ્યાં તમે રૂબરૂ જઈને પણ નોંધણી કરાવી શકો છો. એ માટે તમારે તમારી સાથે માન્ય ID કાર્ડ, પાસપોર્ટ કદનો ફોટો અને તમે યાત્રા માટે યોગ્ય છો તેની પુષ્ટિ કરતું તબીબી પ્રમાણપત્ર લઈને જવું પડશે. ચાર ધામ યાત્રા કરનાર લગભગ 40 % લોકો હજુ પણ ઓફલાઈન વિકલ્પ પસંદ કરે છે.
ચાર ધામ યાત્રા કઈ રીતે થાય છે?
હિંદુ ધર્મ અનુસાર ચાર ધામ યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફ એટલે કે ઘડિયાળની દિશામાં કરવી જોઈએ, તેથી ચાર ધામ યાત્રા યમુનોત્રી ધામથી શરૂ થાય છે. એ પછી અનુક્રમે ગંગોત્રી, કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામના દર્શન કરવાના હોય છે.
1. યાત્રાનું પહેલું ધામ છે યમુનોત્રી
યમુનોત્રી પહોંચવા માટે પહેલાં ઋષિકેશથી લગભગ 232 કિમી દૂર આવેલા સ્થળ ‘જાનકી ચટ્ટી’ સુધી જવું પડે છે. આ માટે બસ અથવા ટેક્સી લઈ શકાય. હરિદ્વારથી સીધા જાનકી ચટ્ટી પણ જઈ શકાય છે. એ અંતર 220 કિમી થાય છે. જાનકી ચટ્ટીથી યમુનોત્રી પહોંચવા માટે 5 કિમીનું ચઢાણ ચઢવું પડે છે. તમે પગપાળા જઈ શકો છો અથવા તો ઘોડા પર કે પછી પાલખી (ડોલી) માં બેસીને જઈ શકો છો.
યમુનોત્રી મંદિર ગંગા નદી પછી ભારતની બીજા ક્રમની સૌથી પવિત્ર ગણાતી નદી યમુનાને સમર્પિત છે. આ મંદિર યમુના નદીના સ્ત્રોત નજીક સાંકડી ખીણમાં એક પર્વતીય ગામમાં સ્થિત છે. તે સમુદ્ર સપાટીથી લગભગ 3,233 મીટરની ઊંચાઈ પર આવેલું છે.
2. યાત્રાનો બીજો પડાવ છે ગંગોત્રી
યમુનોત્રીથી નીકળીને તમે જાનકી ચટ્ટી આવો. ત્યાંથી બારકોટ થઈને ધરાસુ વટાવીને ઉત્તરકાશી થતાં ગંગોત્રી પહોંચવાનું હોય છે. જો તમે હરિદ્વાર કે ઋષિકેશથી સીધા ગંગોત્રી જવા માંગતા હો, તો એ પણ શક્ય છે. સાગરસપાટીથી 3,100 મીટરની ઊંચાઈએ આવેલું ગંગોત્રી મંદિર દેવી ગંગાને સમર્પિત મંદિર છે. દેવદારના વૃક્ષો આ મંદિરની આસપાસના વિસ્તારને અનેરી રમણીયતા બક્ષે છે.
3. ગંગોત્રી પછી કેદારનાથના દર્શન
ગંગોત્રીથી નીકળીને તમે ધરાસુ આવો એ પછી તેહરી જવાનો રસ્તો લેવો પડે. ત્યાંથી પહેલા ચંદ્રપુરી થઈને પછી ગુપ્તકાશી વાળો રસ્તો પકડી લેવાનો જે લઈ જશે સીધા ગૌરી કુંડ. ત્યાંથી આગળ વાહન જતું નથી. ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીનો રુટ 17 કિલોમીટરનો છે. તમે ચાલીને, ઘોડા અથવા પાલખીમાં બેસીને કે પછી હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરીને કેદારનાથ પહોંચી શકો છો. કેદારનાથ જવા માટે ઋષિકેશ અને હરિદ્વારથી ‘યાત્રા બસ’ ઉપડે છે. તમે ટેક્સી પણ ભાડે લઈ શકો છો.
કેદારનાથ મંદિર મંદાકિની નદીના કિનારે સમુદ્રસપાટીથી 3,584 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ મંદિર જ્યાં છે એ સમગ્ર વિસ્તાર ભૂતકાળમાં ‘કેદાર ખંડ’ તરીકે ઓળખાતો હતો. કેદારનાથ મંદિર મહાદેવને સમર્પિત 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. અહીં દર્શન માટે VIP પાસ પ્રતિ વ્યક્તિ રૂપિયા 1100 માં ઉપલબ્ધ છે.
4. યાત્રાની સમાપ્તિ થશે બદ્રીનાથમાં
કેદારનાથ મહાદેવના દર્શન કરીને તમે ગૌરીકુંડ પાછા ફરશો. ત્યાંથી ગુપ્તકાશી સુધી સીધા જવાનું અને પછી ચોપરા અને ચમોલી લઈ જતો રસ્તો લઈ લેવાનો. એ રસ્તો તમને લઈ જશે બદ્રીનાથા ધામ. કેદારનાથની જેમ જ બદ્રીનાથ પહોંચવા માટે પણ તમે ઋષિકેશ અથવા હરિદ્વારથી બસ કે ટેક્સી લઈ શકો છો. તે ઋષિકેશથી લગભગ 290 કિમી અને હરિદ્વારથી 312 કિમી દૂર છે.
અહીં જે મુખ્ય બદ્રીનાથ મંદિર છે એ ઉપરાંત આસપાસ આવેલા ચાર મંદિરો— યોગ ધ્યાન બદ્રી, ભવિષ્ય બદ્રી, આદિ બદ્રી, વૃદ્ધ બદ્રી— પણ મહત્ત્વપૂર્ણ છે. મુખ્ય મંદિર સહિત એ મંદિરો ‘પંચ બદ્રી’ તરીકે ઓળખાય છે. આ બધા મંદિરો ભગવાન વિષ્ણુને સમર્પિત છે.