India

રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયને ક્લિનચીટ, યોગી સરકારે બનાવેલી SITના રિપોર્ટમાં દાવો!

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
અયોધ્યામાં રામ મંદિરના ચઢાવાની ચોરી મામલે ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગે SITનો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપ્યો છે. રિપોર્ટમાં 8 આરોપીઓના નામ છે, જેઓની ધરપકડ થઈ ચૂકી છે. ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચીટ મળી છે. સુપ્રીમ કોર્ટની SIT દ્વારા વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયને ક્લિનચીટ, યોગી સરકારે બનાવેલી SITના રિપોર્ટમાં દાવો!

Ram Mandir Daan Chori : ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આગળની કાર્યવાહી માટે સોંપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે જ્યારે આ દાન ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે આ બંનેની ભૂમિકા પર સતત સવાલો ઊઠી રહ્યા હતા. જેના કારણે વિવાદ વધતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

8 આરોપીઓના નામ સામેલ, સુપ્રીમ કોર્ટની SIT ની તપાસ ચાલુ

SIT દ્વારા રજૂ કરવામાં આવેલી આ અંતિમ રિપોર્ટમાં કુલ 8 લોકોના નામ સામેલ છે, જેમની પોલીસ દ્વારા અગાઉ જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો તે પહેલાં જ, ઉત્તર પ્રદેશ સરકારે ટ્રસ્ટની વિનંતી પર 13 જૂનના રોજ આ ત્રણ સભ્યોની SIT ની રચના કરી હતી. જોકે, આ કેસની ગંભીરતાને જોતા હાલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી બીજી SIT આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

25 જૂને નોંધાઈ હતી FIR, જાણો કોણ હતું SIT માં સામેલ

યોગી સરકાર દ્વારા રચાયેલી આ SIT નું નેતૃત્વ લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંતે કર્યું હતું. તેમની સાથે આઈજી (રેન્જ) કિરણ એસ. અને વિશેષ સચિવ (નાણાં) નીલ રતન કુમાર સભ્ય તરીકે સામેલ હતા. SIT દ્વારા 23 જૂને રાજ્ય સરકારને પોતાનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોના આધારે 25 જૂનના રોજ ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદ પર 8 નામજોગ અને અન્ય અજ્ઞાત લોકો સામે FIR નોંધવામાં આવી હતી.

આ 8 આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ

શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR માં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામ શંકર યાદવ ઉર્ફે ટીનુના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(A) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, SIT ના પ્રાથમિક રિપોર્ટના આધારે જ આરોપીઓની ધરપકડ અને આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.