દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Synthetic Paneer May Soon Be Banned: દેશમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. માર્કેટમાં અસલી પનીરના નામે વેચાતા અને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા 'સિન્થેટિક પનીર' પર ટૂંક સમયમાં સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની તાજેતરની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
ઓક્ટોબર 2025થી ચાલી રહી હતી પ્રક્રિયા
અહેવાલો અનુસાર, આ મામલે એક હાઈ લેવલ કમિટી દ્વારા ઓક્ટોબર 2025માં જ પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો હતો. જેને માર્ચ 2026ની બેઠકમાં આખરી ઓપ આપી મંજૂરી અપાઈ છે. સમિતિનું માનવું છે કે ભારત વિશ્વમાં ડેરી ઉત્પાદનોનો સૌથી મોટો દેશ હોવા છતાં, બનાવટી પનીરનું વધતું વેચાણ ડેરી ઉદ્યોગ અને લોકોના સ્વાસ્થ્ય બંને માટે નુકસાનકારક છે.
કેવી રીતે બને છે સિન્થેટિક પનીર?
સિન્થેટિક પનીર બનાવવામાં દૂધનો નહિવત્ અથવા બિલકુલ ઉપયોગ થતો નથી. તેને બનાવવા માટે પામ ઓઈલ અને મિલ્ક પાઉડરનું મિશ્રણ કરવામાં આવે છે. આ પદાર્થો દ્વારા તૈયાર થતું પનીર જોવામાં અને સ્વાદમાં અસલી પનીર જેવું જ લાગે છે, જેના કારણે સામાન્ય ગ્રાહક છેતરાય છે.
લાઇસન્સ ધરાવતી કંપનીઓને અપાશે સમય
હાલમાં દેશમાં આશરે 1,000 જેટલી કંપનીઓ અને વેપારીઓ પાસે સિન્થેટિક પનીર બનાવવાનું લાઇસન્સ છે. સરકાર હવે નવા લાઇસન્સ આપવાનું બંધ કરશે. જોકે, વર્તમાન ઉત્પાદકોને તેમનો સ્ટોક પૂર્ણ કરવા અને ઉત્પાદન યુનિટ્સ બંધ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે જેથી તેમને મોટું આર્થિક નુકસાન ન થાય.
સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો
નિષ્ણાતોના મતે, સિન્થેટિક પનીર ઓછું પોષણ ધરાવે છે અને તેમાં વપરાતા કેમિકલ્સ પાચનતંત્ર તેમજ હૃદય માટે જોખમી સાબિત થઈ શકે છે. બજારમાં આ પનીર ખૂબ જ સસ્તું મળતું હોવાથી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં તેની માંગ સતત વધી રહી હતી, જેના પર હવે કાયમી બ્રેક લાગશે.








