India

ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્ટ

By GS TEAM
26 Feb 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સૌહાર્દ માટે ભાઈચારાને જરૂરી ગણાવતાં કહ્યું કે, 'ઊંચા બંધારણીય પદો પર બેઠેલા લોકો ધર્મ, ભાષા, જાતિ અથવા ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે. કોઈ પણ ટોચની હસ્તી પછી ભલે તે સરકારી હોય કે બિન-સરકારી, ભાષણો, મીમ્સ, કાર્ટૂન અથવા ચિત્રો દ્વારા કોઈ વિશેષ સમુદાયને બદનામ અથવા અપમાનિત ન કરી શકે.'

Summarized by AI; it may make mistakes. Check important info

ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્ટ

Supreme Court: સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સૌહાર્દ માટે ભાઈચારાને જરૂરી ગણાવતાં કહ્યું કે, 'ઊંચા બંધારણીય પદો પર બેઠેલા લોકો ધર્મ, ભાષા, જાતિ અથવા ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે. કોઈ પણ ટોચની હસ્તી પછી ભલે તે સરકારી હોય કે બિન-સરકારી, ભાષણો, મીમ્સ, કાર્ટૂન અથવા ચિત્રો દ્વારા કોઈ વિશેષ સમુદાયને બદનામ અથવા અપમાનિત ન કરી શકે.'

જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ આ ટિપ્પણી ફિલ્મ "ઘુસખોર પંડિત"(Ghooskhor Pandit)ની રિલીઝને પડકારતી અરજી પર એક અલગ ચુકાદામાં કરી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે અરજીમાં તેની રિલીઝને પડકારવામાં આવી છે. 

ચુકાદામાં મીમ્સ અને કાર્ટૂનનો પણ ઉલ્લેખ

જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ પોતાના 39 પાનાના ચુકાદામાં લખ્યું છે કે, 'કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે સરકારી હોય કે બિન-સરકારી, ભાષણો, મીમ્સ, કાર્ટૂન, દૃશ્ય કલા વગેરે માધ્યમથી કોઈપણ સમુદાયને બદનામ કરે અને તેની નિંદા કરે તે બંધારણીય રીતે અસ્વીકાર્ય છે.'

તેમણે આગળ લખ્યું કે, 'ધર્મ, ભાષા, જાતિ અથવા ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન બનાવવો એ બંધારણનું ઉલ્લંઘન કહેવાશે, પછી ભલે તે ગમે તે વ્યક્તિ હોય. આ વિશેષરૂપે ઉંચા બંધારણીય પદ પર બેસેલા લોકો માટે છે જેમણે બંધારણને જાળવી રાખવા માટે શપથ લીધા છે.'

શું બોલ્યા જજ?

જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ભુઈયાની બેન્ચે 19 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ નિર્માતા નીરજ પાંડેના સોગંદનામાને રૅકોર્ડ પર લીધા બાદ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગ કરતી અરજીનો નિકાલ કર્યો હતો અને કહ્યું હતું કે આશા છે કે આ વિવાદનો દરેક રીતે અંત આવશે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?

પોતાના ચુકાદામાં જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે, બંધારણના પ્રમુખ ઉદ્દેશ્યોમાંથી એકનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે ભારતના તમામ નાગરિકો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો, વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાનો છે.

જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે,  વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણા બંધારણના આદર્શોમાંથી એક છે તથા કલમ 19(1)(a) બધા નાગરિકોને આવો મૌલિક અધિકાર આપે છે.

શું છે વિવાદ?

તમને જણાવી દઈએ કે, "ઘુસખોર પંડિત" રિલીઝ થાય તે પહેલાં જ ભારે વિવાદમાં ફસાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં સિરીઝના દિગ્દર્શક અને પ્રોડક્શન ટીમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, વેબ સિરીઝનું શીર્ષક અને કન્ટેન્ટ સમાજના અમુક વર્ગોની ધાર્મિક અને જાતિગત લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે.