India

'ગુંડાઓનો સફાયો કરી દઈશું..', PAની હત્યા બાદ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીની પ્રથમ પ્રતિક્રિયા

By GS TEAM
7 May 20264 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ ગુરુવારે (7 મે 2026) આ ઘટનાને હચમચામી દેનારી ગણાવી અને કહ્યું કે આ હત્યા અગાઉથી પૂરા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે અહીંના ગુંડાઓનો સફાયો કરી દઈશું.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગુંડાઓનો સફાયો કરી દઈશું..', PAની હત્યા બાદ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીની પ્રથમ પ્રતિક્રિયા

Suvendu Adhikari PA Murder: પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ ગુરુવારે (7 મે 2026) આ ઘટનાને હચમચામી દેનારી ગણાવી અને કહ્યું કે આ હત્યા અગાઉથી પૂરા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે અહીંના ગુંડાઓનો સફાયો કરી દઈશું.

લોકો શાંતિ જાળવે, કાયદો હાથમાં ન લે: શુભેન્દુ અધિકારી

ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે તેમના સહયોગી ચંદ્રનાથ રથની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે અને તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. તેમણે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ પણ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે રાજ્યના DGPએ તેમને ભરોસો આપ્યો છે કે પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે.

પાર્ટીને ઘટનાની જાણકારી આપી દેવામાં આવી: શુભેન્દુ

શુભેન્દુ અધિકારીએ કહ્યું કે માત્ર ચંદ્રનાથ રથ જ નહીં, પરંતુ ભાજપના એક કાર્યકરને બશીરહાટમાં ગોળી મારવામાં આવી અને બીજા કાર્યકરને બારાનગરમાં ચપ્પુ મારવામાં આવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે આ હુમલો સંપૂર્ણપણે અગાઉથી વિચારેલી વ્યૂહનીતિનો ભાગ હતો. 2 થી 3 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનાની જાણકારી ભારતીય જનતા પાર્ટીને આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે પણ મૃતકના પરિવાર અને પોલીસ અધિકારી સાથે વાત કરી છે. ભાજપના અનેક ધારાસભ્યો અને નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ 15 વર્ષના 'મહા જંગલરાજ'નું પરિણામ છે. ભાજપ હવે રાજ્યમાં ગુંડાગીરી ખતમ કરવાનું કામ કરશે.

ભાજપ નેતાઓએ શું કહ્યું?

ભાજપ નેતા અને નવનિર્વાચિત ધારાસભ્ય કૌસ્તવ બાગચીએ કહ્યું, 'આ એક સુનિયોજિત હુમલો હતો. હુમલાખોરોએ ચંદ્રનાથની કારનો લાંબો સમય સુધી પીછો કર્યો અને પછી તેમના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.' તેમણે આરોપ લગાવ્યો કે 'આ મમતા બેનરજી અને અભિષેક બેનરજીનું ષડયંત્ર છે. જ્યાં સુધી ગુનેગારોની ઓળખ નહીં થાય, ત્યાં સુધી અમે ચેનથી બેસીશું નહીં. ત્યાં સુધી અમે  મૃતકના અંતિમ સંસ્કાર નહીં કરીએ.' ભાજપ ધારાસભ્ય તરુણજ્યોતિ તિવારીએ કહ્યું, 'અમે શાંતિનો સંદેશ આપતા રહ્યા છીએ, પરંતુ તૃણમૂલ કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરી છે.'

તૃણમૂલ કોંગ્રેસે હત્યાની નિંદા કરી

તૃણમૂલ કોંગ્રેસે પણ આ હત્યાની નિંદા કરી છે અને કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસની માંગ કરી છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે લોકશાહીમાં હિંસા અને રાજકીય હત્યાનું કોઈ સ્થાન નથી. TMCએ દાવો કર્યો કે ચૂંટણી પછી થયેલી હિંસામાં તેમના પણ અનેક કાર્યકરોની હત્યા થઈ છે. પશ્ચિમ બંગાળના DGP સિદ્ધ નાથ ગુપ્તાએ જણાવ્યું કે પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનામાં વપરાયેલી ગાડી જપ્ત કરી લીધી છે અને ઘટનાસ્થળેથી જીવતા કારતૂસ અને ખાલી ખોખા મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાડીની નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


ચંદ્રનાથ રથની હત્યા કેવી રીતે કરવામાં આવી

જણાવી દઈએ કે ચંદ્રનાથ રથની બુધવારે (6 મે 2026) મોડી રાત્રે મધ્યમગ્રામ વિસ્તારમાં જેસોર રોડ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ તેઓ કારમાં જઈ રહ્યા હતા, ત્યારે બાઇક સવાર હુમલાખોરોએ તેમની ગાડી રોકી અને નજીકથી ગોળીઓ ચલાવી હતી. ગંભીર હાલતમાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના બાદ ભાજપના નેતાઓએ તેને ટાર્ગેટેડ હુમલો ગણાવ્યો છે. ભાજપ નેતા સુજય કુમાર ડેએ જણાવ્યું કે હુમલામાં ચારથી પાંચ બાઇક સામેલ હતી અને હુમલાખોરો સીધા ચંદ્રનાથ રથને નિશાન બનાવીને આવ્યા હતા. તેમણે કહ્યું કે કારમાં ડ્રાઈવર પણ હાજર હતો, પરંતુ માત્ર ચંદ્રનાથ રથને જ ગોળી મારવામાં આવી હતી. ભાજપ નેતા કિયા ઘોષે પણ આરોપ લગાવ્યો કે આ હુમલો રાજકીય ગુસ્સા અને બદલાની ભાવનાથી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી

શું બોલ્યા DGP?

શુભેન્દુ અધિકારીના પીએના મોત પર DGP સિદ્ધનાથ ગુપ્તાએ કહ્યું, 'અમે તપાસ શરૂ કરી દીધી છે. ગુનામાં વપરાયેલી ગાડીને જપ્ત કરી લેવામાં આવી છે. જાણવા મળ્યું છે કે તેની નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. વપરાયેલી નંબર પ્લેટ સિલીગુડીની એક ગાડીની છે, પરંતુ તે નકલી છે. અમે ઘટનાસ્થળેથી કેટલાક ખાલી કારતૂસ અને જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે. અત્યાર સુધી મળેલી માહિતીના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને હાલમાં હું આટલી જ જાણકારી શેર કરી શકું તેમ છું.'