Budget 2026: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) સંસદમાં પોતાનું સતત નવમું બજેટ રજૂ કરીને ભારતને આરોગ્ય ક્ષેત્રે 'આત્મનિર્ભર' બનાવવાની દિશામાં ઐતિહાસિક જાહેરાત કરી છે. દેશમાં વધી રહેલા કેન્સર, ડાયાબિટીસ અને ઓટો-ઇમ્યુન રોગોના વધતા જોખમ સામે લડવા માટે સરકારે 'બાયોફાર્મા શક્તિ' (Biopharma Shakti) યોજના જાહેર કરી છે, જેના માટે 10 હજાર કરોડ રૂપિયાનું અધધ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
ભારત બનશે ગ્લોબલ મેડિસિન હબ
બજેટ ભાષણમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, 'ભારત અત્યાર સુધી જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર રહ્યું છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારત જટિલ અને નવીન દવાઓના સંશોધનમાં પણ નેતૃત્વ કરે. ત્યારે 'બાયોફાર્મા શક્તિ' (Biopharma Shakti) યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયાબિટીસ, કેન્સર અને ઓટો-ઇમ્યુન જેવી ગંભીર બીમારીઓની દવાઓનું ભારતમાં જ સંશોધન અને ઉત્પાદન કરવાનો છે.'
આ યોજના માટે ફાળવવામાં આવેલી 10 હજાર કરોડ રૂપિયાની રકમનો મોટો હિસ્સો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) માટે વાપરવામાં આવશે, જેથી ભારત નવીનતમ 'બાયોલોજિકલ' દવાઓ પોતે બનાવી શકે.
કયા રોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે?
ભારતમાં બદલાતી રોગની પેટર્નને ધ્યાનમાં રાખીને સરકારે ત્રણ મુખ્ય પડકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે
ડાયાબિટીસ: ભારતને વિશ્વની "ડાયાબિટીસ રાજધાની" તરીકે જોવામાં આવે છે. આ યોજનાથી ડાયાબિટીસની આધુનિક સારવાર સસ્તી અને સુલભ બનશે.
કેન્સર: કેન્સરની સારવાર હાલમાં મધ્યમ વર્ગ માટે ખૂબ જ ખર્ચાળ છે. સ્વદેશી સંશોધનથી કેન્સરની જટિલ દવાઓના ભાવમાં મોટો ઘટાડો આવવાની અપેક્ષા છે.
ઓટો-ઇમ્યુન રોગો: શરીરની રોગપ્રતિકારક શક્તિ જ શરીરને નુકસાન પહોંચાડે તેવા રોગો માટે અત્યંત મોંઘી જૈવિક દવાઓની જરૂર પડે છે, જે હવે ભારતમાં જ તૈયાર થશે.
કેમ જરૂરી છે આ પગલું?
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતમાં જીવનશૈલી સંબંધિત બિન-ચેપી રોગો ઝડપથી વધી રહ્યા છે. ભૂતકાળમાં આપણું ધ્યાન મેલેરિયા કે કોલેરા જેવા ચેપી રોગો પર હતું, પરંતુ હવે કેન્સર અને ડાયાબિટીસ જેવા લાંબા ગાળાના રોગો સામે સસ્તી સારવાર પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે.


