India

પાકિસ્તાનના શહેઝાદ ભટ્ટી નેટવર્ક પર ATSનો સકંજો, પુણેમાં 66 લોકોની પૂછપરછ

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર ATS દ્વારા પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરાઈ છે. પુણે જિલ્લામાં 66 લોકોની સવારે 7 વાગ્યાથી પૂછપરછ શરૂ થઈ. ATSને શંકા છે કે આ લોકો ભટ્ટીના સંપર્કમાં હતા અને સોશિયલ મીડિયાથી યુવાનોને ભડકાવવાનો પ્રયાસ થતો હતો. નાણાકીય લેવડ-દેવડની પણ તપાસ ચાલી રહી છે, જેમાં 112 લોકો ઓળખાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનના શહેઝાદ ભટ્ટી નેટવર્ક પર ATSનો સકંજો, પુણેમાં 66 લોકોની પૂછપરછ

ATS Crackdown On Pakistan Gangster Shehzad Bhatti : પાકિસ્તાનમાં બેઠેલા ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીના કથિત નેટવર્કની તપાસ હવે વધુ તેજ બની છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા મંગળવારે સવારે આશરે 7 વાગ્યાથી પુણે જિલ્લામાં મોટી કાર્યવાહી શરૂ કરીને 66 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી પુણે શહેર પોલીસ કમિશનરેટ, પુણે ગ્રામિણ પોલીસ અને પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટની મદદથી કરવામાં આવી રહી છે. ATSનું માનવું છે કે, આ તમામ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શહેઝાદ ભટ્ટીના સંપર્કમાં આવ્યા હતા.

આ કાર્યવાહી પહેલાં પણ ગયા સપ્તાહે શુક્રવારે, મહારાષ્ટ્ર ATS દ્વારા સમગ્ર રાજ્યમાં એકસાથે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે સમયે મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે જણાવ્યું હતું કે, ATS એ 112 એવા લોકોની ઓળખ કરી છે, જેમના પાકિસ્તાનમાં બેઠેલા ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી અથવા તેના નેટવર્ક સાથે સંપર્ક હોવાની આશંકા છે. ATSની રાજ્યભરમાં આવેલી 14 યુનિટોએ આ લોકોના ઘર અને ઠેકાણાઓ પર પહોંચીને પૂછપરછ કરી હતી.

સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ભડકાવવાની આશંકા

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, પ્રારંભિક માહિતીમાં સામે આવ્યું છે કે, શહેઝાદ ભટ્ટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય યુવાનોના સંપર્કમાં હતો. તેના પર આરોપ છે કે, તે યુવાનોને કથિત રીતે દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જ ઇનપુટના આધારે ATS એ રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કર્યું છે.

પૈસાની લેવડ-દેવડની પણ તપાસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ માત્ર સોશિયલ મીડિયા સંપર્ક પૂરતી સીમિત નથી. ATS તે શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે, જેનો સંબંધ શહેઝાદ ભટ્ટી અથવા તેના નેટવર્ક સાથે હોઈ શકે છે. તપાસ એજન્સીઓ એ શોધવામાં વ્યસ્ત છે કે, શું ભારતમાં હાજર કેટલાક લોકોના ખાતામાં શંકાસ્પદ રકમ મોકલવામાં આવી હતી, અથવા તેમની સાથે કોઈ આર્થિક લેવડ-દેવડ થઈ હતી.

વારંવાર પાકિસ્તાન સાથે સંપર્ક કરનારાઓ પર ફોકસ

સૂત્રોનું કહેવું છે કે, ATS ખાસ કરીને એવા લોકોની પૂછપરછ કરી રહી છે, જેમણે પાકિસ્તાનમાં બેઠેલા શહેઝાદ ભટ્ટી અથવા તેના સહયોગીઓ સાથે વારંવાર ફોન, ઇન્ટરનેટ કોલ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કર્યો હતો. આ લોકોના મોબાઈલ ફોન, કોલ ડિટેલ રેકોર્ડ (CDR), ચેટ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને અન્ય ડિજિટલ ઉપકરણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પુણેમાં 66 લોકોની પૂછપરછ

આ નવીનતમ કાર્યવાહી હેઠળ પુણે જિલ્લાના 66 લોકોને તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે. ATSની ટીમો સવારથી જ સતત તેમની પૂછપરછ કરી રહી છે. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ લોકોનો શહેઝાદ ભટ્ટી સાથે સંપર્ક કરવાનો હેતુ શું હતો, વાતચીતનો વિષય શું હતો, અને શું આની પાછળ કોઈ સંગઠિત નેટવર્ક કામ કરી રહ્યું હતું.

હાલમાં ATS દ્વારા આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી હોવાની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓનું કહેવું છે કે, પૂછપરછ, ડિજિટલ પુરાવાઓ અને નાણાકીય તપાસમાં સામે આવતા તથ્યોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.