Tamil Nadu Politics News : તમિલનાડુમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈ નવી પાર્ટી બનાવાવની તૈયારીઓ કરી રહ્યાની અટકળો શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો દાવો છે કે, તેઓ નવી પાર્ટી બનાવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ આવી અફવા ઉડી હતી. હવે સોશિયલ મીડિયા પર અન્નામલાઈના સમર્થકો પાર્ટીના નવા નામ અને ઝંડા માટે ડિઝાઇનના સૂચનો માંગી રહ્યા છે. એવું મનાઈ રહ્યું છે કે, જે રીતે થલાપતિ વિજયે રાજકારણમાં એન્ટ્રી કરતાંની સાથે જ સત્તા મેળવી લીધી, તેવું અન્નામલાઈ પણ વિચારી રહ્યા છે.
અન્નામલાઈ જૂનમાં નવી પાર્ટીની જાહેરાત કરવાની તૈયારીમાં હોવાનો દાવો
વાસ્તવમાં તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKનો વિજય થયા બાદ તેમના સત્તા પણ હાંસલ કરી લીધી છે. આ ચૂંટણીમાં ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી, જેના કારણે પાર્ટીએ અન્નાઈલાઈને અધ્યક્ષ પદેથી હાંકી કાઢતાં તેઓ નારાજ થયા હોવાની વિગતો સામે આવી છે, ત્યારે હવે અન્નામલાઈ નવી પાર્ટી બનાવવાની ફિરાકમાં હોવાની અટકળો શરૂ થઈ છે. કેટલાક લોકોના દાવો છે કે, અન્નામલાઈ જૂન મહિનામાં નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો : CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ
અન્નામલાઈનું પાર્ટી પ્રત્યેનું વલણ બદલાયું
વિધાનસભા ચૂંટણી બાદ કે. અન્નામલાઈ(K Annamalai)નું પાર્ટી પ્રત્યેનું વલણ પણ બદલાઈ ગયાની અટકળો વહેતી થઈ છે. તેમણે ધોરણ-9માં ત્રણ ભાષા ફરજિયાત બનાવવાના CBSEના નિર્ણયની તાજેતરમાં જ જાહેરમાં ટીકા કરી હતી. કેટલાક લોકોએ એ બાબત પણ નોંધી છે કે, અન્નામલાઈએ રવિવારે યોજાયેલા PM મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ અંગે કોઈ પોસ્ટ પણ કરી નથી. જોકે તેમણે આ કાર્યક્રમ અંગે વડાપ્રધાનની પોસ્ટને રીશેર જરૂર કરી હતી. આ તમામ બાબતો જોતા અન્નામલાઈનું વલણ બદલાઈ ગયું હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ભાજપ-AIADMKના ગઠબંધનથી નાખુશ
એવી પણ ચર્ચાઓ છે કે, અન્નામલાઈ વિધાનસભા ચૂંટણી-2026માં ભાજપ-AIADMKના ગઠબંધનથી નાખુશ હતા. પરંતુ આ હાઇકમાન્ડનો નિર્ણય હોવાથી તેમણે રાજી થઈને NDA માટે પ્રચાર પણ કર્યો હતો. પૂર્વ IPS અધિકારી અન્નામલાઈ તમિલનાડુ ભાજપનું નેતૃત્વ કરનારા ઓછી ઉંમરના નેતાઓમાંથી એક છે. તેમને જુલાઈ-2021માં 37 વર્ષની ઉંમરે પ્રદેશ અધ્યક્ષ બનાવાયા હતા. તેઓ 2025 સુધી આ પદ પર રહ્યા હતા.


