Hormuz Controversy: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઈરાનના સૈન્ય દ્વારા નિશાન બનાવવામાં આવેલા બે વિદેશી ધ્વજ ધરાવતા જહાજો પર સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત હોવાના અહેવાલ છે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. આ સાથે જ પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં રહેલા અન્ય તમામ ભારતીય ખલાસીઓ પણ સુરક્ષિત હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત
મંત્રાલયના નિવેદન અનુસાર, 'યુફોરિયા' નામનું પનામાનો ધ્વજ ધરાવતું કન્ટેનર જહાજ, જેમાં 21 ભારતીય ખલાસીઓ સવાર છે, અને 'એપામિનોન્ડાસ' નામનું અન્ય એક પનામા ફ્લેગ્ડ જહાજ, જેમાં 1 ભારતીય ખલાસી છે, તે બંને સુરક્ષિત છે. બીજી તરફ, ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઈલ ટેન્કર 'દેશ ગરિમા', જે 18 એપ્રિલે 31 ભારતીય ખલાસીઓ સાથે સુરક્ષિત રીતે હોર્મુઝથી પસાર થયું હતું, જે બુધવારે મુંબઈ પહોંચી ગયું હતું.
ભારત સરકાર દ્વારા ખલાસીઓ માટે શું પગલાં લેવાયા?
ભારત સરકાર આ ક્ષેત્રમાં ભારતીય ખલાસીઓના કલ્યાણને સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે. શિપિંગ મંત્રાલય સતત વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસો અને દરિયાઈ હિતધારકો સાથે સંકલન કરી રહ્યું છે. ભારતીય મિશનો સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંપર્ક કરીને ખલાસીઓને કોન્સ્યુલર સહાય અને ભારત પરત ફરવા માટે જરૂરી મદદ પૂરી પાડી રહ્યા છે. ડીજી શિપિંગ કંટ્રોલ રૂમ દ્વારા અત્યાર સુધીમાં હજારો કોલ્સ અને ઈમેલ્સ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.
2,680 ભારતીય ખલાસીઓને સુરક્ષિત પરત લવાયા
અત્યાર સુધીમાં આશરે 2,680 થી વધુ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં પરત ફરેલા 65 ખલાસીઓનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલય (MEA) પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે. ભારતીય રાજદૂતો પણ ત્યાં વસતા ભારતીય સમુદાય અને સંગઠનો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે જેથી તેમની ચિંતાઓ દૂર કરી શકાય.
ભારત આવતી ફ્લાઈટ્સમાં વધારો
ગલ્ફ દેશોથી ભારત આવતી ફ્લાઈટ્સની સંખ્યામાં સતત સુધારો થઈ રહ્યો છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં અંદાજે 12.12 લાખ મુસાફરો આ ક્ષેત્રમાંથી ભારત આવ્યા છે. યુએઈથી ભારત વચ્ચે પણ મર્યાદિત કોમર્શિયલ ફ્લાઈટ્સ કાર્યરત છે, જેમાં ગુરુવારે અંદાજે 110 ફ્લાઈટ્સની અવરજવર અપેક્ષિત છે. વધુમાં, ભારતના તમામ બંદરો પર કામગીરી સામાન્ય છે અને ત્યાં માલસામાનની કોઈ ભીડ જોવા મળી નથી.


