રામમંદિરમાં નૌકરશાહીની દખલ મંજૂર નહીં, CEO ની નિમણૂક થાય એ પહેલા સંતો ભડક્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir Trust Reorganisation Controversy 2026: અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીના વિવાદ વચ્ચે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પુન:રચના અને વહીવટને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ વહીવટ સુધારવા માટે એક આઈએએસ સ્તરના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)ની નિમણૂક કરવાની હિમાયત કરી હતી. જેને અયોધ્યાના સંત સમાજે સખત શબ્દોમાં નકારી કાઢી છે. રવિવારે મહંત નૃત્યગોપાલ દાસના જન્મોત્સવના અંતિમ દિવસે દેશભરમાંથી એકત્રિત થયેલા સંતોએ 'ધ્વનિ મત' થી અમલદારશાહી વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કર્યો છે.
"રામ મંદિરને સત્તાનું સંસ્થાન ન બનાવો" - સંતો આકરા પાણીએ
વ્યાસ પીઠ પરથી મુખ્ય વક્તા આચાર્ય મિથિલેશ નંદિની શરણ (મહંત, હનુમત નિવાસ) એ સીધો સવાલ ઉઠાવ્યો કે, "શું અયોધ્યામાં રામ મંદિર બ્યુરોક્રેટ્સ ચલાવશે? અયોધ્યા સંતો અને શ્રદ્ધાળુઓની છે, વહીવટી તંત્રની નહીં." વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંબોધતા તેમણે કહ્યું કે જો ટ્રસ્ટનું પુન:ગઠન કરવું હોય તો ચોક્કસ કરો, તમામ વર્ગોના પ્રમાણિત લોકોને સ્થાન આપો, પરંતુ રામ મંદિરને સત્તાનું સંસ્થાન કે કોર્પોરેટ સેટ-અપ ન બનાવો. તેમણે ઉમેર્યું કે ધર્મનિરપેક્ષતાની શપથ લેનારા સરકારી અધિકારીઓ ક્યારેય ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન હોઈ શકે નહીં.
ચંપત રાયના રાજીનામા પર ઘેરાતું રહસ્ય
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામાને લઈને પણ અયોધ્યામાં ચર્ચાઓ ગરમ છે. સંતોએ સવાલ ઉઠાવ્યો છે કે સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહેતા ચંપત રાયે પોતાના રાજીનામાની સત્તાવાર જાહેરાત કેમ ન કરી? વધુમાં, સામાન્ય વહીવટી પ્રક્રિયા મુજબ રાજીનામું ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસને સોંપવાના બદલે કોષાધ્યક્ષ (ટ્રેઝરર) ને કેમ સોંપવામાં આવ્યું? આ તમામ સવાલોના કારણે શંકાઓ દ્રઢ બની છે અને હવે બધી નજર 11 જુલાઈએ મળનારી ટ્રસ્ટની હાઈ-લેવલ બેઠક પર ટકેલી છે.
કરણી સેનાના નૃપેન્દ્ર મિશ્રા પર ગંભીર આક્ષેપો
બીજી તરફ, આ વિવાદમાં હવે કરણી સેના પણ કૂદી પડી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મુએ સિવિલ લાઈન્સ ખાતે પત્રકાર પરિષદ યોજીને પૂર્વ આઈએએસ નૃપેન્દ્ર મિશ્રા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે રાજસ્થાનના ભરતપુર સહિત અન્ય સ્થળોએથી લાવવામાં આવેલા પથ્થરો અને બિલ્ડિંગ મટિરિયલમાં પણ ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. જો મંદિરમાં ચોરી થઈ છે, તો નિર્માણ સમિતિના અધ્યક્ષ તરીકે નૃપેન્દ્ર મિશ્રા જવાબદારીમાંથી કેવી રીતે બચી શકે? તેમને તપાસના દાયરામાં લાવવા જોઈએ અને જો તેમને સીઈઓ બનાવવામાં આવશે તો તે અયોધ્યાનું દુર્ભાગ્ય હશે. કરણી સેનાએ પીએમ મોદી પાસે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
11 જુલાઈએ થશે મોટા ફેરફારો
સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 જુલાઈએ પ્રસ્તાવિત બેઠકમાં રામ મંદિર ટ્રસ્ટના માળખામાં ધરખમ ફેરફારો થઈ શકે છે. બેંકિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ અને આઇટી ક્ષેત્રના પ્રોફેશનલ્સને નાણાકીય પારદર્શિતા લાવવા માટે રાખવામાં આવી શકે છે તેમજ અત્યાર સુધી ચાલતી આઉટસોર્સિંગ પ્રક્રિયાની સમીક્ષા કરી તમામ વ્યવસ્થાઓ સીધી ટ્રસ્ટના હાથમાં લેવાય તેવી સંભાવના છે.









