Get The App

'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન 1 - image

Raghav Chadha Join BJP: આમ આદમી પાર્ટી (AAP)ને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપનાર રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અરવિંદ કેજરીવાલના પક્ષ વચ્ચે હાલમાં આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ છે. શુક્રવારે 'AAP' ના સંસદીય દળમાં ભંગાણની જાહેરાત કરનાર રાઘવ ચઢ્ઢા જ્યાં પોતાની જૂની પાર્ટી પર ભડાસ કાઢી રહ્યા છે, તો બીજી તરફથી AAP દ્વારા તેમને ઉપકાર ગણાવતા 'ગદ્દાર' તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાના પરિણીતી ચોપરા સાથેના લગ્નની ક્રેડિટ પણ લઈ લીધી છે.

રાઘવ ચઢ્ઢા વીડિયો જાહેર કર્યો

હકીકતમાં રાઘવ ચઢ્ઢાએ સોમવારે ફરી એકવાર વીડિયો મેસેજ દ્વારા જણાવ્યું કે શા માટે તેમણે આટલો મોટો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે, હું CAની કારકિર્દી છોડીને રાજકારણમાં આવ્યો અને એક પાર્ટીનો સ્થાપક સભ્ય બન્યા. પાર્ટીને 15 વર્ષ આપ્યા અને લોહી-પરસેવાથી સીંચી. હવે પાર્ટીનું વાતાવરણ ઝેરી થઈ ગયું છે અને તે કેટલાક ભ્રષ્ટ લોકોના હાથમાં ફસાઈ ગઈ છે જેઓ દેશ માટે નહીં પણ પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા છે. મારી પાસે રાજકારણ છોડવા, પાર્ટીમાં રહીને ઘણું બધું ઠીક કરવા અને મારી ઊર્જાનો ઉપયોગ સકારાત્મક રાજકારણ માટે કરવાના ત્રણ વિકલ્પો હતા.

આ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ પક્ષનું વાતાવરણ ખરાબ થવા પર નોકરી બદલવાનું ઉદાહરણ આપતા કહ્યું, ‘તમે જ્યાં નોકરી કરો છો ત્યાંનું વાતાવરણ જો ઝેરી થઈ જાય, જો તમને ત્યાં કામ કરતા રોકવામાં આવે, તમારી મહેનતને દબાવવામાં આવે, ચૂપ કરવામાં આવે તો તમે શું કામ કરી શકશો? આવા કિસ્સામાં કામનું સ્થળ જ બદલવું જ શ્રેષ્ઠ હોય છે.’

રાઘવના વીડિયો પર AAP નેતાનો કટાક્ષ

રાઘવ ચઢ્ઢાના આ વીડિયોનો જવાબ આપવા માટે 'AAP' ના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ વીડિયો દ્વારા જ હાજર થયા. તેમણે ભાજપમાં જોડાઈ ગયેલા ચઢ્ઢાને જવાબ આપતા કહ્યું કે ‘નોકરી બદલીએ છીએ ત્યારે વિચારધારા સાથે કંઈ લેવાદેવા નથી હોતી, પરંતુ પાર્ટીમાં વિચારધારાના કારણે જોડાય છે.’

ભારદ્વાજે એમ પણ કહ્યું કે કંપની બદલતી વખતે લોકો ત્રણ મહિનાની નોટિસ આપે છે, જે પણ જ્ઞાન છે તેનું આદાન પ્રદાન કરે છે. આ કરવું એ જવાબદારી હોય છે. નોકરી છોડતી વખતે લોકો તેને બરબાદ કરવાનું કાવતરું નથી કરતા. EDનો સકંજો કસાતા નક્કી કર્યું કે ભાજપમાં જશે અને કોઈને જણાવ્યું પણ નહીં.

રાઘવે કેન્દ્ર સાથે મળીને કાવતરું રચ્યું: સૌરભ ભારદ્વાજ

આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યું કે ‘રાઘવ ચઢ્ઢાએ ભાજપ સાથે મળીને કાવતરું કર્યું. તેમણે પોતાની એક અલગ છબી બનાવવાનો પ્રયત્ન કર્યો અને તેમાં ભાજપ સરકાર મદદ કરી રહી હતી. જે પણ મુદ્દા કેન્દ્ર સરકારની પાઇપલાઇનમાં હતા, એરપોર્ટ પર સસ્તા સમોસા, રિચાર્જ નિયમો, ગીગ વર્કર્સ માટે કામ - કેન્દ્ર સરકાર તરફથી રાઘવને જણાવાતું હતું કે, આ મુદ્દા ઉઠાવો અને તરત જ તેના પર કામ થશે તો તેમની છબી બનશે. ભાજપ અને કેન્દ્ર સાથે મળીને આ કાવતરું કરવામાં આવી રહ્યું હતું.’

પરિણીતી ચોપરા સાથેના લગ્નની ક્રેડિટ પણ AAPએ લીધી

સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની ક્રેડિટ પણ પોતાની પાર્ટીને આપતા કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં.

ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે રાઘવ અને અભિનેત્રી પરિણીતીના લગ્ન સપ્ટેમ્બર 2023માં થયા હતા.