સિલેબસમાંથી બહાર નીકળો અને બાળકના જીવનમાં પ્રવેશો: શિક્ષક દિને નેશનલ એવોર્ડ વિજેતાઓને PM મોદીની સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Guidance to Teachers: શિક્ષક દિનની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ટીચર્સ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે શિક્ષકોને માત્ર પાઠ્યપુસ્તકો અને સિલેબસ પૂરતા સીમિત ન રહેવા અને બાળકોના જીવન, તેમની રુચિઓ તથા પડકારોને વધુ નજીકથી સમજવા માટે હાકલ કરી હતી. 7, લોક કલ્યાણ માર્ગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, 'શિક્ષણ માત્ર પુસ્તકો અને વર્ગખંડ સુધી સીમિત ન રહી શકે.'
બાળકોમાં છુપાયેલી વિશેષ પ્રતિભાને ઓળખો: શિક્ષકોને PM મોદીની ખાસ અપીલ
શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શિક્ષકોને બાળકોના સર્વાંગી વિકાસ માટે ખાસ ધ્યાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'શિક્ષણ માત્ર પુસ્તકો અને અભ્યાસ પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ શિક્ષકોએ દરેક બાળકની અંદર રહેલી આગવી ક્ષમતાઓને પણ પારખવી જોઈએ.'
અભ્યાસમાં નબળા બાળકોમાં પણ હોય છે ખાસ શક્તિ
વડાપ્રધાને શિક્ષકો સાથે વાતચીત કરતા એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો કે, 'શું તમે એવા બાળકોની ક્ષમતાઓને ઓળખવાનો પ્રયાસ કરો છો જેઓ અભ્યાસમાં કદાચ બહુ હોંશિયાર ન હોય? એ જરૂરી નથી કે દરેક બાળક ભણવામાં જ અગ્રેસર હોય, કારણ કે ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈને કોઈ વિશેષ શક્તિ, હુનર કે તાકાત આપી જ હોય છે. શિક્ષકોની મુખ્ય જવાબદારી છે કે તેઓ બાળકના એ છુપાયેલા ગુણ કે પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય દિશા આપે.'
બાળપણની સર્જકતા અને જિજ્ઞાસા જાળવી રાખવી જરૂરી
આ ઉપરાંત, વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'બાળપણની નિર્દોષતા, જિજ્ઞાસાવૃત્તિ અને સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) ક્યારેય ઓછી ન થવી જોઈએ. બાળકમાં રહેલો આ સહજ ગુણ જીવંત રહે તે જોવાની સૌથી મોટી અને મહત્ત્વની જવાબદારી શિક્ષકની છે. જ્યારે શિક્ષક બાળકની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે, ત્યારે બાળકનો યોગ્ય અને સકારાત્મક રીતે માનસિક વિકાસ થાય છે.'
સ્ક્રીન ટાઈમ ઘટાડવા રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર
આજના સમયમાં બાળકોમાં વધી રહેલા અતિશય સ્ક્રીન ટાઈમની સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને સૂચન કર્યું હતું કે, 'બાળકો ડિજિટલ ઉપકરણોથી દૂર રહે તે માટે તેમને રમતગમત, શારીરિક રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવા જોઈએ. આનાથી બાળકોમાં કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્યોનો વિકાસ થશે.'
સામાજિક જાગૃતિ અને અન્ય વિષયો પર પણ ચર્ચા
વાતચીત દરમિયાન વર્ગખંડ બહારના મુદ્દાઓ જેવા કે બ્રેસ્ટ કેન્સર અંગેની જાગૃતિ અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અંગે પણ ચર્ચા થઈ હતી. એક શિક્ષકે મહિલાઓમાં પ્રાથમિક તપાસ અને જાગૃતિ ફેલાવવાના તેમના કામ અંગે વાત કરી હતી. આ ઉપરાંત, વડાપ્રધાને શિક્ષકોને બાળકોના વર્તનમાં આવતા ફેરફારો પ્રત્યે સજાગ રહેવા અને તેમના પડકારોને સમજવા વિનંતી કરી હતી.




