India

આજે 'Gen-Z' રાંચીમાં ઝારખંડ વિધાનસભાને ઘેરશે, કલમ 163 લાગુ, CBI તપાસ પર મામલો ગુંચવાયો

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
રાંચીમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓ અને મંત્રીઓ વચ્ચે 5 કલાકની મંત્રણા નિષ્ફળ રહેતા, 10 ઓગસ્ટે વિદ્યાર્થીઓ 'વિધાનસભા ઘેરાવ' કરશે. JSSC-CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસની મુખ્ય માંગ પર વિદ્યાર્થીઓ અડગ છે. આંદોલન ઉગ્ર બનતા 3 JPSC સભ્યોએ રાજીનામા આપ્યા છે. રાંચીમાં કલમ 163 લાગુ કરી 2,000થી વધુ પોલીસ જવાનો તહેનાત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે 'Gen-Z' રાંચીમાં ઝારખંડ વિધાનસભાને ઘેરશે, કલમ 163 લાગુ, CBI તપાસ પર મામલો ગુંચવાયો
IMAGE - IANS

Ranchi Assembly Siege: રાંચીમાં રવિવારે રાજ્યના મંત્રીઓની વિશેષ કમિટી અને આંદોલનકારી વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ તબક્કામાં આશરે 5 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. જેથી વિદ્યાર્થીઓએ આજે, 10 ઑગસ્ટે અગાઉથી નક્કી કરેલા 'વિધાનસભા ઘેરાવ'ના કાર્યક્રમ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે.

વિદ્યાર્થી સંગઠનોએ પ્રદર્શનકારીઓને કોઈ પણ અફવા કે ભ્રમિત થયા વિના સવારે 10 વાગ્યા પહેલા જૂની વિધાનસભા પાસે એકઠા થવા અપીલ કરી છે, જ્યાંથી તેઓ એકજૂથ થઈને નવી વિધાનસભા તરફ શાંતિપૂર્ણ પદયાત્રા યોજશે. આ ઘેરાવને પગલે રાંચી જિલ્લા પ્રશાસને સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવી દીધા છે અને નવી વિધાનસભા પરિસરના 750 મીટરના વિસ્તારમાં BNSની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે.

સરકારનો 98% માગણીઓ સ્વીકાર્યાનો દાવો

રવિવારે આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે યોજાયેલી બેઠકમાં સરકાર તરફથી મંત્રી સુદિવ્ય કુમાર સોનુ, દીપિકા પાંડે સિંહ, સંજય પ્રસાદ યાદવ અને ચમરા લિંડા હાજર રહ્યા હતા. વાટાઘાટો બાદ સરકારે દાવો કર્યો છે કે વિદ્યાર્થીઓની લગભગ 98% જેટલી માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. આ માગણીઓમાં 14મી JPSC PT અને ACF પરીક્ષા રદ કરવી, TDPL એજન્સી દ્વારા લેવાયેલી પરીક્ષાઓની તપાસ કરાવવી તેમજ પરીક્ષા પદ્ધતિ સુધારવા માટે નિષ્ણાતોની એક કમિટી બનાવવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બીજી તરફ, વિદ્યાર્થીઓના સતત વધતા જતા આક્રોશ અને ઉગ્ર બનતા આંદોલનને જોતાં JPSCના ત્રણ સભ્યો - અજીતા ભટ્ટાચાર્ય, જમાલ અહેમદ અને અનિમા હાંસદાએ પણ રાજ્યપાલને પોતાના રાજીનામા સોંપી દીધા છે.

CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસ પર મામલો અટક્યો

સરકારના દાવા છતાં વિદ્યાર્થી પ્રતિનિધિઓ JSSC-CGL પરીક્ષા રદ કરવા અને સમગ્ર પ્રક્રિયાની CBI તપાસ કરાવવાની પોતાની માગ પર અડગ રહ્યા છે. વાટાઘાટો બાદ જેએમએમ મંત્રી સુદિવ્ય કુમાર સોનુએ સ્પષ્ટતા કરી હતી કે CGL પરીક્ષા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી, તેથી રાજ્ય સરકાર પાસે તેને રદ કરવાનો કે સીધી CBI તપાસનો આદેશ આપવાનો અધિકાર નથી. સરકારે વિકલ્પ તરીકે નાણાકીય વ્યવહારોની તપાસ EDને સોંપવા, નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચવા અને 90 દિવસમાં રિપોર્ટ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓએ આ તમામ પ્રસ્તાવ ફગાવી દીધા છે.

'જ્યાં સુધી તોડીશું નહીં, ત્યાં સુધી છોડીશું નહીં'ના નારા સાથે માર્ચ

વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ વિદ્યાર્થીઓ હાથમાં પોસ્ટરો લઈને જૂની વિધાનસભા ખાતે એકઠા થવા લાગ્યા છે. વિદ્યાર્થી નેતા સંજય મહેતા અને કુણાલે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર CGL પરીક્ષા રદ કરવા, CBI તપાસ કરાવવા અને સુધારા મોડેલ લાગુ કરવાની મુખ્ય માગણીઓ પૂરી નહીં કરે તો આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. બીજી તરફ વિપક્ષ ભાજપે પણ વિદ્યાર્થીઓના આ આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું છે. ભાજપના પ્રદેશ મહામંત્રી અમર કુમાર બાઉરીએ સરકાર પર તાનાશાહી વલણ અપનાવવાનો આક્ષેપ કરતા કહ્યું કે પોલીસિયા કાર્યવાહીથી વિદ્યાર્થીઓનો આક્રોશ દબાવી શકાશે નહીં.

2000થી વધુ પોલીસ જવાનો તહેનાત, 'પેઇન્ટબૉલ ગન'થી રખાશે નજર

વિધાનસભા ઘેરાવને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ધરણાસ્થળથી વિધાનસભા સુધીના 13 કિલોમીટરના માર્ગ પર પાંચ જગ્યાએ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા છે અને 2,000થી વધુ પોલીસ કર્મચારીઓની સાથે IRB અને QRT ટુકડીઓ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત આસપાસની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

રાંચીના સિટી એસપી પારસ રાણાએ જણાવ્યું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓને કોઈ તકલીફ નહીં પડે, પરંતુ ઉપદ્રવ મચાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી 'પેલેટ ગન'ની વાત ખોટી છે, સુરક્ષા માટે 'પેઇન્ટબૉલ ગન'નો ઉપયોગ કરાશે, જેથી અરાજકતા ફેલાવનારાઓ પર કલર બોલ મારીને તેમની ઓળખ કરી શકાય.