India

VIDEO: દિલ્હીમાં BRICS સંમેલન વચ્ચે જામા મસ્જિદ પહોંચ્યા ઈરાનના ચીફ જસ્ટિસ, લોકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં BRICS ચીફ જસ્ટિસ ફોરમ દરમિયાન, ઈરાનના ચીફ જસ્ટિસ આયાતુલ્લા ગુલામ હુસૈન મોહસિની-એજેઈએ ઐતિહાસિક જામા મસ્જિદની મુલાકાત લીધી. શુક્રવારની નમાજ અદા કરવા તેઓ શાહી ઈમામ સૈયદ શાબાન બુખારી સાથે જોડાયા. શિયા બહુમતીવાળા ઈરાનના ન્યાયાધીશનું સુન્ની મસ્જિદમાં એક લાઈનમાં નમાજ પઢવી એ શિયા-સુન્ની સદ્ભાવ અને સાંસ્કૃતિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું. આ ઘટનાએ ભારત-ઈરાનના સદીઓ જૂના સંબંધોને ઉજાગર કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: દિલ્હીમાં BRICS સંમેલન વચ્ચે જામા મસ્જિદ પહોંચ્યા ઈરાનના ચીફ જસ્ટિસ, લોકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ

Iran Chief Justice: હાલમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં દુનિયાના 22 દેશોના ઉચ્ચ ન્યાયિક અધિકારીઓ એકઠા થયા છે. ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન 'બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ન્યાય પ્રણાલી, ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ ગંભીર બેઠકો વચ્ચે શુક્રવારે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં એક અનોખો અને અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, જેની અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે.

જામા મસ્જિદમાં ઈરાનના ચીફ જસ્ટિસનું ભવ્ય સ્વાગત

ઈરાનના ચીફ જસ્ટિસ આયાતુલ્લા ગુલામ હુસૈન મોહસિની-એજેઈ શુક્રવારની નમાજ અદા કરવા માટે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ પહોંચ્યા હતા. તેમણે જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના સૈયદ શાબાન બુખારી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ નમાજમાં ભાગ લીધો હતો. નમાજ પૂર્ણ થયા બાદ ત્યાં હાજર લોકોની ભીડે તેમને ઘેરી લીધા હતા. લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

શિયા-સુન્ની સદ્ભાવની એક સુંદર તસવીર

આ ઘટના એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણ કે ઈરાન એક શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે દિલ્હીની જામા મસ્જિદ સુન્ની ઈસ્લામિક પરંપરાનું પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે. આવા સમયે ઈરાનના સર્વોચ્ચ ન્યાયિક અધિકારીનું જામા મસ્જિદ પહોંચવું અને સુન્ની ઈમામની પાછળ સામાન્ય લોકો સાથે એક જ લાઈનમાં ઊભા રહીને નમાજ પઢવી, એ શિયા-સુન્ની એકતા અને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ભારત અને ઈરાનના સદીઓ જૂના સંબંધોનો ઉલ્લેખ

શાહી ઈમામ સાથેની વાતચીત દરમિયાન ઈરાનના ચીફ જસ્ટિસે ભારત અને ઈરાન વચ્ચેના પ્રાચીન સંબંધોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો માત્ર રાજદ્વારી સ્તર સુધી મર્યાદિત નથી, પરંતુ સદીઓથી સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય અને ધાર્મિક સંપર્કો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. આ ઉપરાંત નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસમાં ભારતીય ધાર્મિક વિદ્વાનો સાથેની બેઠકમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈરાને ક્યારેય અમેરિકાના કે ઈઝરાયલના દબાણ સામે શરણાગતિ સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ ઝૂકશે નહીં.

BRICSના મંચ પરથી ન્યાયિક સહયોગ વધારવા મંથન

ભારતના સુપ્રીમ કોર્ટની યજમાની હેઠળ યોજાયેલી આ પરિષદનો મુખ્ય હેતુ વિવિધ દેશોની ન્યાયપાલિકા વચ્ચે સંવાદ વધારવાનો છે. ભારતના ચીફ જસ્ટિસ (CJI) જસ્ટિસ સૂર્યકાંત પણ રશિયા, ચીન, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને યુએઈ (અબુ ધાબી) સહિતના દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી રહ્યા છે. આ પરિષદમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ અને કોમર્શિયલ વિવાદોના ઉકેલ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. એક તરફ દિલ્હીમાં ન્યાયિક ક્ષેત્રના ટેકનિકલ મુદ્દાઓ પર મંથન ચાલી રહ્યું છે, તો બીજી તરફ ઈરાનના ચીફ જસ્ટિસની આ મુલાકાતે સમગ્ર પ્રવાસને એક અલગ જ માનવીય અને સાંસ્કૃતિક સ્પર્શ આપ્યો છે.