દેવામાં ડૂબ્યું આ રાજ્ય, IAS-IPSની સંખ્યા ઘટાડવાની નોબત! કેન્દ્ર પાસે મદદ માગવાની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IAS Cadre Reduction: નાણાકીય સંકટ અને વધતા જતા વહીવટી ખર્ચ વચ્ચે હિમાચલ પ્રદેશ સરકારે હવે અમલદારશાહીનું કદ નાનું કરવાનો મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર IAS, IPS અને ભારતીય વન સેવા (IFS)ના અધિકારીઓની મંજૂર થયેલી સંખ્યા ઘટાડવા માટે કેન્દ્ર સરકારને એક ઔપચારિક પ્રસ્તાવ મોકલશે. હિમાચલ પ્રદેશ પર હાલમાં રૂ. 1 લાખ કરોડથી પણ વધુનું દેવું છે. આ પરિસ્થિતિમાં મોટા કેડરને જાળવી રાખવા પાછળ દર વર્ષે થતા આશરે રૂ. 200 કરોડના ખર્ચમાં બચત કરવા માટે સરકાર આ પગલું ભરી રહી છે.
IAS, IPS અને IFS કેડરમાં મોટા પાયે કાપ મુકાશે
રિપોર્ટ અનુસાર, હિમાચલ સરકાર IAS અધિકારીઓની મંજૂર સંખ્યા 153થી ઘટાડીને 130 કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે, એટલે કે કેડરમાંથી 23 પદો ઓછા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમની ઈચ્છા IAS કેડર ઘટાડીને 100થી 110 સુધી લાવવાની હતી, પરંતુ અધિકારીઓની નારાજગીને ધ્યાનમાં રાખીને હાલ 23 પદો ઘટાડવાનો પ્રસ્તાવ રખાયો છે. આ ઉપરાંત, IFS કેડરની મંજૂર સંખ્યા 118થી ઘટાડીને 83 કરવાની યોજના છે, જેમાં 35 પદોનો કાપ મુકાશે. સાથે જ, હાલમાં મંજૂર થયેલા 96 IPS પદોની સંખ્યામાં પણ ઘટાડો કરવાની જરૂરિયાત મુખ્યમંત્રીએ દર્શાવી છે.
અધિકારીઓ પાછળ વાર્ષિક રૂ. 50 લાખથી વધુનો ખર્ચ
સરકારના જણાવ્યા મુજબ, હિમાચલ જેવા નાના રાજ્યને આટલી મોટી અમલદારશાહીની કોઈ જરૂર નથી. એક સિનિયર અધિકારીના પગાર, સપોર્ટ સ્ટાફ, વાહન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ મળીને વાર્ષિક સરેરાશ રૂ. 50 લાખથી વધુનો ખર્ચ થાય છે. વહીવટી માળખું મોટું હોવા છતાં કેટલાક અધિકારીઓ પાસે ખૂબ જ ઓછું કામ છે, જેના કારણે તેમની પ્રતિભાનો સાચો ઉપયોગ થઈ શકતો નથી. આથી સરકાર હવે કલ્યાણકારી યોજનાઓને ગંભીરતાથી લાગુ કરી શકે તેવા નિષ્ઠાવાન અધિકારીઓ જ રાખવા માંગે છે અને કેન્દ્રીય ડેપ્યુટેશન માટે જતાં અધિકારીઓને ઝડપથી NOC આપીને રીલીવ કરી રહી છે.
વહીવટી અસમતુલા દૂર કરવાનો પ્રયાસ
હાલમાં હિમાચલના આશરે બે ડઝન જેટલા IAS અધિકારીઓ અને ડઝનથી વધુ IPS અને IFS અધિકારીઓ કેન્દ્રીય ડેપ્યુટેશન પર છે. રાજ્યનો કાર્મિક વિભાગ ટૂંક સમયમાં જ કેડર ઘટાડવાનો ઔપચારિક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે. આ પ્રસ્તાવમાં વિભાગોની અસમતુલા પણ દર્શાવવામાં આવશે. ઉદાહરણ તરીકે, વન વિભાગમાં ઉચ્ચ સ્તરે જરૂરિયાત કરતાં વધુ અધિકારીઓ તહેનાત છે, જ્યારે નીચલા સ્તરે કર્મચારીઓની ભારે અછત પ્રવર્તી રહી છે. સરકાર આ માળખાકીય સુધારો કરીને રાજ્યના સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ કરવા અને વહીવટને સુચારુ બનાવવા ઈચ્છે છે.









