40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડહાપણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UPI transaction charges: કેન્દ્ર સરકાર દ્વારા UPIના મોટા વ્યવહારો પર ચાર્જ લગાવવાના નિર્ણયને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યાં કેટલાક વિશેષજ્ઞો તેને સરાહનીય પગલું માની રહ્યા છે, ત્યાં કેટલાક લોકો સામાન્ય જનતા પર નાણાકીય બોજ વધવાને કારણે તેની ટીકા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોક કુમાર લાહિરીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આ નિર્ણયનું સમર્થન કરતા કહ્યું છે કે સરકાર ટેક્સ વસૂલ્યા વિના ચલાવી શકાતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર માત્ર સામાન્ય ચાર્જ વસૂલી રહી છે અને તેને ચૂકવવામાં લોકોને કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ.
અશોક લાહિરીની વ્યક્તિગત ટિપ્પણી અને ચાણકય નીતિ
અશોક લાહિરીએ સ્પષ્ટ કર્યું છે કે આ તેમનું વ્યક્તિગત મંતવ્ય છે અને તે નીતિ આયોગનું અધિકારીક વલણ નથી. તેમણે કહ્યું કે, 'સરકાર દરેક લેણ-દેણ પર અનિશ્ચિત સમય માટે સબસીડી આપી શકે નહીં.' પોતાની વાત સમજાવવા માટે તેમણે ચાણક્ય નીતિનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'એક રાજાએ પોતાની પ્રજા પાસેથી ટેક્સ એ જ રીતે વસૂલવો જોઈએ જે રીતે ભમરો ફૂલને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર ધીમે-ધીમે મધ એકઠું કરે છે.'
તેમણે 100 રૂપિયાના વ્યવહાર પર લાગનારા 40 પૈસા જેવા સામાન્ય ચાર્જની સરખામણી ચેકબુક જેવી અન્ય બેંકિંગ સેવાઓ સાથે કરતા કહ્યું કે, આનાથી કોઈ મારી જવાનું નથી, પરંતુ વ્યવસ્થા ચલાવવા માટે આ ખર્ચ આપવાની આદત કેળવવી પડશે.
સરકારની UPI પર શું છે યોજના?
સરકાર આગામી 15 ઓક્ટોબરથી વેપારીઓને કરવામાં આવતા 2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર 0.4 ટકા શુલ્ક (MDR) લાગુ કરવા જઈ રહી છે. જો કે, 2000 રૂપિયા સુધીના UPI લેણ-દેણ પર કોઈ ચાર્જ લાગશે નહીં અને આ શુલ્ક ગ્રાહકોને બદલે વેપારીઓએ ચૂકવવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી
સરકારના આ નિર્ણય સામે હવે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં 14 સપ્ટેમ્બરની નોટિફિકેશન અને MDR વ્યવસ્થાને પડકારવામાં આવી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ વ્યવસ્થા મનસ્વી અને ભેદભાવપૂર્ણ છે, જેનાથી ઓછા માર્જિન પર કામ કરતા વેપારીઓ અને ગ્રાહકો પર મુશ્કેલીઓ વધી શકે છે તથા ડિજિટલ પેમેન્ટ પર પણ વિપરીત અસર પડી શકે છે.




