India

સીમાંકન બિલ પર મોટો વળાંક! વિરોધ કરનારી DMK પર કેમ ભરોસો રાખીને બેઠી છે મોદી સરકાર?

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે, જેમાં NDA સરકાર 2029થી મહિલા અનામત અને લોકસભા બેઠકો 543થી 850 કરવાના બંધારણીય સુધારા બિલ પાસ કરાવવા પ્રયાસ કરશે. અગાઉ આ બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળતા પડ્યું હતું. 22 સાંસદો ધરાવતી DMK "કિંગમેકર" બની છે, જે દક્ષિણના રાજ્યો સાથે અન્યાયનો મુદ્દો ઉઠાવી રહી છે. જો DMK વોકઆઉટ કરશે તો સરકાર માટે બહુમતી મેળવવી સરળ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીમાંકન બિલ પર મોટો વળાંક! વિરોધ કરનારી DMK પર કેમ ભરોસો રાખીને બેઠી છે મોદી સરકાર?
IMAGE - IANS

Delimitation Bill Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આગામી 20 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની એનડીએ (NDA) સરકાર બે અત્યંત મહત્ત્વના બંધારણીય સુધારા બિલ પાસ કરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ બે બિલોમાં 2029થી મહિલા અનામત લાગુ કરવા અને લોકસભાની સીટોની સંખ્યા 543થી વધારીને 850 કરવાનું સીમાંકન ખરડો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ત્રણ મહિના પહેલા એપ્રિલમાં યોજાયેલા વિશેષ સત્ર દરમિયાન આ બંને બિલ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પડી ભાંગ્યા હતા.

બે-તૃતીયાંશ બહુમતી માટે DMKની ભૂમિકા નિર્ણાયક

કોઈપણ બંધારણીય સુધારા બિલને પાસ કરાવવા માટે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી એટલે કે 360 સાંસદોના સમર્થનની જરૂર પડે છે. હાલમાં એનડીએ (NDA) પાસે 293 સાંસદોનું સંખ્યાબળ છે. ટીએમસી, શિવસેના (UBT) અને શરદ પવારની પાર્ટીના આડકતરા સમર્થન તેમજ અન્ય પક્ષોને જોડ્યા બાદ પણ આ આંકડો આશરે 332 સુધી પહોંચે છે. આમ, સરકાર હજુ પણ જાદુઈ આંકડાથી 28 સીટો દૂર છે. આ સ્થિતિમાં 22 લોકસભા સાંસદો ધરાવતી ડીએમકે આ સમગ્ર ખેલમાં 'કિંગમેકર' બનીને ઉભરી આવી છે.

દક્ષિણના રાજ્યો સાથે અન્યાયનો તર્ક

સીમાંકન બિલનો સૌથી વધુ વિરોધ ડીએમકે અને તેના પ્રમુખ એમ.કે. સ્ટાલિન કરી રહ્યા છે. તેમનો તર્ક છે કે જનસંખ્યા નિયંત્રણમાં જે દક્ષિણના રાજ્યોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેમને વસ્તીના આધારે થનારા સીમાંકનને કારણે લોકસભાની બેઠકો ગુમાવવી પડશે અને આ ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણના રાજ્યો સાથે મોટો અન્યાય હશે. એપ્રિલ મહિનામાં કોંગ્રેસ, સપા અને ડીએમકેના વિરોધને કારણે જ આ બિલ પસાર થઈ શક્યું નહોતું.

છેલ્લા ત્રણ મહિનામાં બદલાયેલા રાજકીય સમીકરણો

છેલ્લા ત્રણ મહિનામાં તમિલનાડુ અને કેન્દ્રના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. તમિલનાડુમાં ડીએમકે સત્તામાંથી બહાર થઈ છે અને કોંગ્રેસ સાથેના તેના સંબંધોમાં પણ તિરાડ પડી છે. આ બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે ભાજપ નેતૃત્વ ડીએમકે સાથે સતત સંપર્કમાં હોવાના અહેવાલો છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સત્રમાં વિપક્ષના બદલાયેલા વલણને કારણે આ બિલો સરળતાથી પાસ થઈ જશે.

વચ્ચેનો રસ્તો કાઢવા સરકાર તૈયાર

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી સરકારે ડીએમકેની ચિંતાઓ દૂર કરવા માટે વચ્ચેનો રસ્તો કાઢવાની તૈયારી દર્શાવી છે. ડીએમકેના નેતા કનિમોઝી કરુણાનિધિએ પણ પુષ્ટિ કરી છે કે તેમણે તમિલનાડુ અને દક્ષિણ ભારતના હિતોની રક્ષા માટે સીમાંકન અંગેના કેટલાક મુદ્દાઓ સરકાર સમક્ષ ઉઠાવ્યા છે અને સરકાર તેના પર સકારાત્મક વિચારણા કરવા તૈયાર છે.

બીજી તરફ, કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં વિપક્ષી એકતા જાળવી રાખવા માંગે છે જેથી એપ્રિલની જેમ ફરીથી બિલને પાડી શકાય. ભાજપની રણનીતિ એવી છે કે જો ડીએમકે બિલની તરફેણમાં વોટ ન કરે, તો પણ મતદાનના સમયે સદનમાંથી ગેરહાજર રહે અથવા વૉકઆઉટ કરી જાય. જો ડીએમકેના 22 સાંસદો મતદાનથી દૂર રહે, તો ગૃહની કુલ હાજર સંખ્યા ઘટવાને કારણે સરકાર માટે બે-તૃતીયાંશ બહુમતીનો આંકડો મેળવવો એકદમ આસાન બની જશે.