CJIનું નામ ચીફ ગેસ્ટની લિસ્ટમાંથી 'ડિલીટ', વિદ્યાર્થીઓના વિરોધની આશંકાને પગલે મુંબઈ સ્થિત TISS નો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJI Surya Kant: મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS)ના 86મા દીક્ષાંત સમારોહમાં હવે ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે નહીં. સંસ્થાએ છેલ્લી ઘડીએ ચીફ ગેસ્ટના નામમાં ફેરફાર કર્યો છે. હવે ટાટા મેમોરિયલ હોસ્પિટલના નિયામક ડૉ. સી. એસ. પ્રમેશ આ દીક્ષાંત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. આ સમારોહ 22 ઓગસ્ટે યોજવામાં આવશે.
અગાઉ 2 ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમ અચાનક સ્થગિત કરાયો હતો
TISSનો 86મો દીક્ષાંત સમારોહ અગાઉ 2 ઓગસ્ટ, 2026ના રોજ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે બોમ્બે હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ, જસ્ટિસ રવિન્દ્ર ઘુગેને સ્પેશિયલ ગેસ્ટ બનાવવામાં આવ્યા હતા. જોકે, કાર્યક્રમના માત્ર 48 કલાક પહેલાં TISS દ્વારા ઈમેલ મોકલીને દીક્ષાંત સમારોહ સ્થગિત કરવાની માહિતી આપવામાં આવી હતી અને તેની પાછળ 'અણધાર્યા સંજોગો'નું કારણ રજૂ કરવામાં આવ્યું હતું.
વિરોધની આશંકાને કારણે સમારોહ પાછો ઠેલવાયો
કેમ્પસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, TISS પ્રશાસનને સમારોહ દરમિયાન વિરોધ પ્રદર્શન કે અન્ય કોઈ અડચણ ઊભી થવાની આશંકા હતી. અહેવાલો મુજબ, જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો માટે કરવામાં આવેલી 'કોકરોચ'વાળી ટિપ્પણીને તાજેતરના મોટા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો સાથે જોડવામાં આવી રહી હતી. હવે આ દીક્ષાંત સમારોહ શનિવાર, 22 ઓગસ્ટે મુંબઈના દેઓનાર સ્થિત સંસ્થાના નૌરોજી કેમ્પસમાં યોજાશે, જેમાં દેશભરના TISS કેમ્પસમાંથી ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓ ભાગ લેશે.
CJI સૂર્યકાંતને લઈને દેશભરમાં ચર્ચા જગાવી
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે CJI સૂર્યકાંતને યુનિવર્સિટીઓના દીક્ષાંત સમારોહમાં આમંત્રિત કરવા અંગે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. અગાઉ હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીમાં 2026 બેચના 450થી વધુ વિદ્યાર્થીઓએ CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ બનાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો. NALSARના આ પ્રકરણ બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI)ની કાર્યવાહી અને નિર્ણયોમાં થયેલા ફેરફારોને લઈને પણ ભારે વિવાદ સર્જાયો હતો.









