India

યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે NDAમાં ખેંચતાણ! JDUએ કહ્યું- પહેલા ડ્રાફ્ટ જોઈશું, પછી વાત થશે

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
બિહારમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ પટણામાં JDUના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી. મુખ્યમંત્રી નિવાસસ્થાને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં આ મંથન થયું. JDUએ સ્પષ્ટ કર્યું કે, UCCનો ડ્રાફ્ટ જોયા વિના ઉતાવળમાં નિર્ણય નહીં લેવાય. 18 સપ્ટેમ્બરે JDUની બેઠક પર સૌની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે NDAમાં ખેંચતાણ! JDUએ કહ્યું- પહેલા ડ્રાફ્ટ જોઈશું, પછી વાત થશે
IMAGE - IANS

Bihar UCC Debate: દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાના મુદ્દાને લઈને બિહારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તમામ એનડીએ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરવાના નિવેદન બાદ બિહારમાં સત્તાધારી ગઠબંધન (એનડીએ)ની અંદર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ મામલે જેડીયુએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક અને મંથન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન બાદ પટણામાં પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને જેડીયુના વરિષ્ઠ નેતાઓની એક બેઠક મળી હતી. આગામી 18 સપ્ટેમ્બરે યોજાનારી જેડીયુ વિધાનમંડળ દળની મોટી બેઠક પહેલાં થયેલી આ મુલાકાતને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પક્ષના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે યુસીસીનો ડ્રાફ્ટ જોયા વગર કોઈ ઉતાવળમાં નિર્ણય લેવામાં આવશે નહીં.

જોગવાઈઓના અભ્યાસ પછી જ લેવાશે અંતિમ નિર્ણય

જેડીયુના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'કાયદાની વાસ્તવિક જોગવાઈઓ શું છે, તે હજુ સ્પષ્ટ નથી.' બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય ચૌધરીએ જણાવ્યું કે, 'આ સમગ્ર બાબતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે.'

જ્યારે જેડીયુના રાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ સંજય ઝાએ જણાવ્યું હતું કે, 'ડ્રાફ્ટમાં જો કોઈ ચિંતા કે મુશ્કેલી જણાશે, તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાતચીત કરીને તે દૂર કરવા માટે કહેવામાં આવશે. પાર્ટીએ વિપક્ષ (આરજેડી) પર પલટવાર કરતા કહ્યું કે જેડીયુ વિપક્ષના સૂચનો પર નહીં, પરંતુ પોતાના ગઠબંધન અને રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લે છે.

18 સપ્ટેમ્બરની બેઠક પર સૌની નજર

બીજી તરફ, ભાજપનું માનવું છે કે જો કેન્દ્રીય ગૃહ મંત્રીએ જાહેરાત કરી છે, તો બિહારમાં પણ યુસીસી લાગુ કરવામાં આવશે. એનડીએના અન્ય સહયોગી પક્ષોએ પણ આ નિર્ણયને દેશહિતમાં ગણાવ્યો છે. હાલમાં જ્યાં સુધી કાયદાનો મસૌદો સામે નથી આવતો, ત્યાં સુધી કોઈપણ સત્તાવાર વલણ અપનાવવું ઉતાવળભર્યું સાબિત થશે. હવે સૌની નજર આગામી 18 સપ્ટેમ્બરે યોજાનારી જેડીયુની બેઠક પર ટકેલી છે કે પાર્ટી આ મુદ્દે શું નવો નિર્ણય લે છે.