મધ્યપ્રદેશમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ, 30 બદમાશો ક્રેન-ટ્રક સાથે ત્રાટક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narwar Fort Shivpuri Cannon Theft Madhya Pradesh : મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલ ઐતિહાસિક નરવર કિલ્લામાંથી એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કિલ્લાની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા 25 થી 30 જેટલા હથિયારધારી બદમાશો રાતના અંધારામાં સિંધિયા રાજવંશની 500 વર્ષ જૂની અને અંદાજે 3,000 કિલો વજન ધરાવતી કિંમતી અષ્ટધાતુની તોપ લૂંટીને ફરાર થઈ ગયા છે. આ ઘટનાએ પુરાતત્વ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે.
ક્રેન અને ટ્રક સાથે પૂરી તૈયારીથી આવ્યા હતા બદમાશો
માહિતી અનુસાર, 15 અને 16 જુલાઈની મધ્યરાત્રિએ બદમાશો કિલ્લાના પાછળના રસ્તેથી અંદર ઘૂસ્યા હતા. આટલી ભારે-ભરખમ તોપ લઈ જવી સરળ ન હોવાથી તેઓ પોતાની સાથે ક્રેન અને લોડિંગ ટ્રક જેવા વાહનો પણ લાવ્યા હતા. કિલ્લાના ઓપન કચેરી પરિસરમાં રાખવામાં આવેલી 14 ઐતિહાસિક તોપોમાંથી સૌથી કિંમતી તોપને તેમણે નિશાન બનાવી હતી. આ લૂંટ બાદ હવે પરિસરમાં માત્ર 13 તોપો જ બચી છે.
લાકડીના ભરોસે સિક્યોરિટી, ગાર્ડે વર્ણવી લાચારી
ઘટના સમયે ફરજ પર હાજર સુરક્ષાકર્મી બાલકિશને પોતાની લાચારી વ્યક્ત કરતા જણાવ્યું કે, અચાનક મોટી સંખ્યામાં આવેલા હથિયારધારી લોકોએ તેમને ઘેરી લીધા હતા. બદમાશો પાસે આધુનિક હથિયારો હતા, જ્યારે સુરક્ષા કર્મચારીઓ પાસે માત્ર એક લાકડી હતી. કિલ્લામાં પૂરતી લાઈટો કે ટોર્ચ જેવી પ્રાથમિક સુવિધા પણ નહોતી. બદમાશોએ ગાર્ડ્સને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પ્લાન મુજબ તોપ ચોરીને આસાનીથી રફુચક્કર થઈ ગયા.
12 દિવસ પહેલાં સંકેત મળ્યો છતાં તંત્ર ઊંઘતું રહ્યું
આ ઘટનાનું સૌથી ચિંતાજનક પાસું એ છે કે અંદાજે 12 દિવસ પહેલાં પણ કિલ્લાની આસપાસ કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. જો વહીવટી તંત્રે તે સમયે કિલ્લાની સુરક્ષા વધારી હોત તો આ ઐતિહાસિક ધરોહર ચોરાતી બચાવી શકાઈ હોત.
આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત
ચોરાયેલી તોપ 16મી સદીની છે, જે તે સમયની શ્રેષ્ઠ ધાતુશાસ્ત્ર (મેટાલર્જી) ટેકનિક અને યુદ્ધ કૌશલ્યનું પ્રતીક છે. તોપ પર કરવામાં આવેલી ખાસ નક્કાશી અને ઐતિહાસિક ચિહ્નો તેને વૈશ્વિક સ્તરે દુર્લભ બનાવે છે. ઇન્ટરનેશનલ એન્ટિક માર્કેટ (ગેરકાયદેસર બજાર) માં આવી ઐતિહાસિક વસ્તુઓની કિંમત કરોડો રૂપિયામાં હોય છે.
પોલીસે તપાસ તેજ કરી
ઘટના બાદ પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને અન્ય કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. કરૈરાના SDOP પ્રશાંત શર્માએ જણાવ્યું કે આ કેસમાં કોઈ આંતરરાષ્ટ્રીય તસ્કર ગેંગની સંડોવણી હોવાની પૂરેપૂરી આશંકા છે. બીજી તરફ, રાજ્ય પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર તરુણ કુમાર મહોબિયાએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને કિલ્લાની સુરક્ષાની સમીક્ષા કરવા અને તોપને વહેલી તકે રિકવર કરવા પોલીસ સાથે ચર્ચા કરી છે.









