Narmada

નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદમાં નવો વળાંક: સરકારની ખાતરી છતાં નાલ ગામમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ ફરી વકર્યો છે. 23 દિવસના આંદોલનના અંત પછી, નાલ ગામના આદિવાસી ખેડૂતોને ખેડાણ કરતા વન વિભાગે રોક્યા. ભાજપના મંત્રીઓ અને સાંસદે સમાધાનનો દાવો કર્યો હતો, પણ પરિસ્થિતિ જુદી છે. કોંગ્રેસના સંદીપ માંગરોલાએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી, જવાબદાર અધિકારીઓ સામે તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદમાં નવો વળાંક: સરકારની ખાતરી છતાં નાલ ગામમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ

Narmada Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લાના સાગબારા જંગલ ધરણાના આંદોલનનો અંત આવ્યાના ગણતરીના દિવસોમાં જ નાલ ગામના આદિવાસી ખેડૂતોને ખેડાણ કરવા જતાં વન વિભાગના કર્મચારીઓ સાથે ફરી બબાલ થઈ હતી. 23 દિવસ ચાલેલા આ આદિવાસી ખેડૂતોના આંદોલન મામલે તાજેતરમાં સોમવારે (31મી ઑગસ્ટ) ભાજપના બે મંત્રીઓ અને સાંસદે આંદોલનકારીઓને પારણા કરાવીને વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો હતો, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે.

સરકારની ખાતરી છતાં વન વિભાગની રોકટોક

સાગબારા તાલુકાના નાલ ગામે પેન્ડિંગ વન અધિકાર અધિનિયમ (FRA) દાવેદારોને તેમના દાવાવાળા વિસ્તારમાં ખેડાણ કરતા વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા હોવાના આક્ષેપથી જંગલ જમીનનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. પહેલી સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ગંભીર રજૂઆત કરી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ

કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, મંત્રીઓ તથા સાંસદની હાજરીમાં પેન્ડિંગ FRA દાવાઓની પ્રક્રિયા અંગે ખાતરી આપવામાં આવી હતી, તો પછી ખેડૂતોને રોકવાનો આદેશ કોના દ્વારા આપવામાં આવ્યો? આ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી ખેડૂતોને હેરાન કરનાર જવાબદાર અધિકારી કે કર્મચારીની જવાબદારી નક્કી કરવાની અને વીડિયો પુરાવા ચકાસવાની માંગ કરી છે.

કાયદેસરની પ્રક્રિયા પેન્ડિંગ છતાં રોકટોકનો આધાર શું?

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે એફઆરએ (FRA) હેઠળના દાવાઓની પ્રક્રિયા હાલ પેન્ડિંગ છે, ત્યારે ખેડૂતોને તેમના પરંપરાગત દાવાવાળા વિસ્તારમાં ખેડાણ કરતા અટકાવવા માટે વન વિભાગ પાસે કાયદેસરનો શું આધાર છે? આ મામલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખેડૂતોને હેરાન ન કરવાની પ્રબળ માંગ ઉઠી રહી છે.