મુંબઈમાં એક જ રાતમાં બે મોટી દુર્ઘટના: વિલે પાર્લેની ઈમારતમાં ભીષણ આગથી 2 ના મોત, કુર્લામાં લેન્ડસ્લાઇડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai News : મંગળવારની મોડી રાત્રે અને બુધવારની વહેલી સવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બે અલગ-અલગ મોટા બનાવો બનતા સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. એક તરફ વિલે પાર્લે વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતના 11મા માળે ભીષણ આગ લાગવાથી અઢી વર્ષના માસૂમ બાળક અને 23 વર્ષીય યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. તો બીજી તરફ કુર્લા વિસ્તારમાં વહેલી સવારે લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન) થતાં કેટલાક ઝૂંપડા કાટમાળ નીચે દબાઈ ગયા છે, જેમાં લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
વિલે પાર્લે સ્થિત ઈમારતના ફ્લેટ નંબર 1101 અને 1102 માં મોડી રાત્રે અચાનક ભયાનક આગ ઊઠી હતી. આશરે 4000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા આ ફ્લેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, એસી યુનિટ, ફોલ્સ સિલિંગ અને ફર્નિચર આગની લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં આખો ફ્લેટ ઝેરી ધુમાડાથી ભરાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહમત બાદ રાત્રે આશરે 1 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ હોનારતમાં અઢી વર્ષના બાળક અબીર અને 23 વર્ષની અંકિતાને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 6 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજી ઘટના કુર્લાના ચિરાગ નગર સ્થિત ગૌસિયા ચૌલમાં વહેલી સવારે આશરે 3:48 વાગ્યે બની હતી, જ્યાં ભારે ભૂસ્ખલન થતાં 3 થી 4 ઝૂંપડા જમીનદોસ્ત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બીએમસીની ફાયર બ્રિગેડ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મલબા હેઠળ 3 થી 4 લોકો ફસાયા હોવાની આશંકાને પગલે યુદ્ધના ધોરણે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એક જ રાતમાં બનેલી આ બે દુર્ઘટનાઓએ હાઈરાઈઝ બિલ્ડિંગોની અગ્નિ સુરક્ષા અને ડુંગરાળ વિસ્તારોની ચૌલોની સલામતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.









