ધો.૧૧ના વિશેષ પ્રવેશ રાઉન્ડ માટે હવે આજ સાંજ સુધીની મુદ્દત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અતિવૃષ્ટિમાં શાળાઓ બંધ રહેતાં મુદ્દત વધારો
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૦ લાખ પ્રવેશઃ૧૦ જુલાઈએ ખાલી સીટ્સની યાદી જાહેર કરાશે
મુંબઈ - રાજ્યમાં પડી રહેલાં જોરદાર વરસાદની અસર ધો.૧૧ની એડમિશન પ્રક્રિયા પર પણ થઈ છે. અતિવૃષ્ટિને કારણે અનેક ઠેકાણે રજા આપવામાં આવતાં અનેક વિદ્યાર્થીઓ એડમિશન નિશ્ચિત કરાવવા માટે ડૉક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવી શક્યા નથી. આથી ધો.૧૧ના વિશેષ રાઉન્ડ-૧ની મુદ્દત ફરી વધારાતાંં વિદ્યાર્થીઓ હવે આઠમી જુલાઈની સાંજે છ વાગ્યા સુધી પોતાનો પ્રવેશ લઈ શકશે.
માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંચાલનાલયે સોમવારે સુધારિત સમયપત્રક જાહેર કર્યું છે. આ પહેલાં પણ વરસાદને કારણે મુદ્દતવધારો આપવામાં આવ્યો હતો. પરંતુ હજી કેટલેક ઠેકાણે પરિસ્થિતિ થાળે પડી ન હોવાથી વિદ્યાર્થી હિતમાં મુદ્દત વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આ વર્ષે ૯,૬૮૮ જૂનિયર કૉલેજોમાં ધો.૧૧ની કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં અત્યારસુધીમાં ૧૪,૭૩,૪૨૦ વિદ્યાર્થીઓએ કરાવેલાં રજીસ્ટ્રેશનમાંથી ૧૦,૦૮,૦૯૪ વિદ્યાર્થીઓએ જ એડમિશન લીધું છે.
મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, પુણે, કોંકણ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહેલાં ધોધમાર વરસાદને લીધે ઘણાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જઈને ડૉક્યુમેન્ટ વેરેફિકેશન કરાવી ફી ભરીને પ્રવેશ લઈ શક્યાં નથી. આથી કોઈ વિદ્યાર્થી માત્ર વરસાદને કારણે પ્રવેશથી વંચિત ન રહી જાય તે હેતુસર મુદ્દત વધારવામાં આવી છે. મુદ્દત પૂર્ણ થયા બાદ ૯મી જુલાઈના રોજ એડમિશન ડેટાની પ્રક્રિયા કરવામાં આવશે. ત્યારબાદ ૧૦ જુલાઈએ સવારે ૧૦ વાગ્યે ખાલી સીટ્સની યાદી જાહેર કરાશે. ત્યારબાદ આગળના એડમિશન રાઉન્ડનું ટાઈમટેબલ જાહેર કરાશે.









