સીએસએમટી સહિતનાં સ્ટેશનોએ પાણીમાં હાનિકારક બેક્ટેરિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેનાં રાષ્ટ્રીય અહેવાલમાં ઘટસ્ફોટ, પ્રવાસીઓનાં સ્વાસ્થય સાથે ચેડાં
ભિવંડી રોડ, કલ્યાણ અને લોનાવલા સ્ટેશને પણ પાણી પુરવઠાના નમૂના ફેઈલઃ સેન્ટ્રલના ૨૮ સ્ટેશને જરુરી ટેસ્ટિંગ કિટ પણ નહિ
મુંબઈ - મધ્ય રેલવેના ઘણા રેલ્વે સ્ટેશનો પર વોટર કુલરમાંથી લેવામાં આવેલા પીવાના પાણીના નમૂનાઓમાં ઈ-કોલાઈ બેક્ટેરિયા મળી આવ્યા હતા. આમાં મધ્ય રેલ્વેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભિવંડી રોડ, કલ્યાણ અને લોનાવલા સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સીએજી) ના રિપોર્ટમાં આ ગંભીર મુદ્દાઓનો ખુલાસો થયો હતો.
સીએજી રિપોર્ટ અનુસાર, રેલવે બોર્ડના માર્ગદશકા મુજબ સ્ટેશનો પર પાણી પુરવઠા પ્રણાલીઓનું પરીક્ષણ વર્ષમાં ઓછામાં ઓછા બે વાર મલ્ટિ-પેરામીટર ફિલ્ડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરીને કરવું જરૃરી છે. જોકે, ૧૫ રેલવે ઝોનના ૪૩૬ સ્ટેશનો પર જરૃરી કીટ ઉપલબ્ધ નહોતી. આમાં મધ્ય રેલવે હેઠળના ૨૮ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
આ તપાસમાં એનએસજી -૧ શ્રેણી હેઠળનું સ્ટેશન સીએસએમટી સ્ટેશને પાણીના નમૂનાની તપાસ કરતા તેમાં ઈ- કોલાઈ બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ બેક્ટેરિયા સામાન્ય રીતે મળ દૂષણ સાથે સંકળાયેલા હોય છે અને ઝાડા, ફૂડ પોઇઝનિંગ અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
તો વધુમાં મધ્ય રેલવેના ભિવંડી રોડ, કલ્યાણ અને લોનાવલા સ્ટેશનો પર પણ પીવાનું પાણી દૂષિત હોવાનો ખુલાસો થયો હતો. આ તમામમાં ઈ- કોલાઈ બેક્ટેરિયા મળી આવ્યા હતા.
રેલવે બોર્ડના એપ્રિલ ૨૦૧૮ ના નિર્દેશો અનુસાર, સ્ટેશન શ્રેણીને ધ્યાનમાં લીધા વિના, બધા સ્ટેશનો પર ઓછામાં ઓછી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
જો કે, એનએસજી-૧ શ્રેણી હેઠળ આવતા સીએસએમટી અને મુંબઈ સેન્ટ્રલ જેવા મુખ્ય સ્ટેશનોમાં પણ બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા સુવિધાઓ, ડસ્ટબિન અને ઇલેક્ટ્રોનિક ટ્રેન સૂચક બોર્ડ જેવી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો.
દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા અંગેના સીએજી અહેવાલ બાદ, રેલ્વે મંત્રી સીઆરબી અને સીઈઓ અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરતા રેલ્વે લગભગ ૨૦ હજાર સ્થળોએ ટેન્ક ટુ ટેપ ફિલ્ટરેશન અને મોનિટરિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરશે.વધુમાં પાણીની ટાંકીઓ બદલશે અને નિયમિત ગુણવત્તા પરીક્ષણ, સફાઈ અને જાળવણી લાગુ કરાશે. આ તમામ કામો પર દેખરેખ સીધી રેલ્વે બોર્ડ દ્વારા કરવામાં આવશે.









